વાળને ખરતા અટકાવી સ્વસ્થ રાખવા આટલું કરો

Tuesday 17th July 2018 06:30 EDT
 
 

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતાં વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો. વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય સંભાળ કરવી જોઈએ. શું તમે જાણો છો કે દરરોજ ૧૦૦ વાળ ખરવા સામાન્ય વાત છે, પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તમારા વાળને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમારા વાળને યોગ્ય પોષણ આપવું જરૂરી છે. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે અને આવામાં સૌથી સારી વાત એ છે કે આની કોઇ આડઅસરો પણ નથી હોતી. તો આવો જાણીએ ખરતા વાળ રોકવા માટે કયા ઘરેલું નુસખા ફાયદાકારક છે.

વાળ ખરતા રોકવા માટે સૌ-પ્રથમ તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો. વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. શું તમે જાણો છો કે ત્વચા, વાળ, લોહી વગેરેને સ્વસ્થ રાખવા માટે અને દરેક કાર્ય સારી રીતે કરવા માટે પાણીની જરૂર પડે છે?

વાળ ખરતા અટકાવવા અને વાળને સ્વસ્થ રાખવા માટે અહીં કેટલાક ઘરેલુ નુસખા આપવામાં આવ્યા છે.

મહેંદી નિયમિત લગાવો

વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

દહીંનો ઉપયોગ

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.

ઈંડાનો વપરાશ

ઈંડામાંથી ભરપુર પોષણ મળે છે. ઈંડા ખાવાથી પણ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.

માલિશ જરૂરી

વાળને રુક્ષ બનતા અટકાવવા માટે તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કેલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.

આહારનું ધ્યાન રાખો

આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter