લંડનઃ કોરાના મહામારીના પગલે લદાયેલા લોકડાઉન નિયંત્રણો હળવાં થવાં સાથે જ યુકેના લંડન સહિત યુરોપના ૨૦થી વધુ શહેરોમાં વાયુ પ્રદુષણના સ્તરમાં ફરી વધારો થયો છે. ડિઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોના કારણે નીકળતા ઝેરીલા નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2)નું પ્રમાણ વધ્યું છે, જેને શ્વસનતંત્રની સમસ્યા સાથે સાંકળવામાં આવે છે. લોકડાઉનના ગાળામાં માર્ગો પર ફરતી કારનું પ્રમાણ તદ્દન ઘટી જવાથી NO2નું પ્રમાણ પણ ઘટ્યું હતું.
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના નવા રિપોર્ટ અનુસાર કોરોના વાઈરસ લોકડાઉન્સ હળવાં થવાના પરિણામે લંડન, પેરિસ, રોમ અને અન્ય યુરોપિયન શહેરોમાં વાયુ પ્રદુષણનું સ્તર ફરી વધ્યું છે. લોકડાઉનનો સૌથી મોટો લાભ એ થયો હતો કે તે સમયગાળામાં માર્ગો પર કાર ઓછી ફરતી હોવાથી પ્રદુષણનું સ્તર નીચું ગયું હતું અને આકાશ પણ સ્વચ્છ દેખાતું હતું. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. લોકડાઉનનાં એપ્રિલ મહિનાના પાછલા ભાગમાં લંડનમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2)નું પ્રમાણ ૩૩ ટકા અથવા ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર (µg/m3) જેટલું ઘટ્યું હતું. જોકે, હવે આ મહિને તેમાં ૩૪ ટકાનો વધારો નોંધાયો છે.
સમગ્ર યુરોપમાં આર્થિક પ્રવૃત્તિઓ વધી છે ત્યારે CREA દ્વારા એક મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં એર ક્વોલિટી તપાસવામાં આવી હતી. લોકડાઉનમાં યુરોપના ૨૭ શહેરમાં NO2નું પ્રમાણ ઘટ્યું હતું. પેરિસમાં લોકડાઉનનો ગાળો સૌથી સ્વચ્છ રહ્યો હતો પરંતુ, હવે પોલ્યુશનમાં સૌથી વધુ વૃદ્ધિ જોવાં મળી છે. પેરિસમાં દર વર્ષે બાળકોમાં અસ્થમાના નવા ૧,૩૦૦ કેસ અને૪,૩૦૦ મૃત્યુ માટે નાઈટ્રોજન ડાયોક્સાઈડ જવાબદાર છે. આ ઉપરાંત, બુડાપેસ્ટ, ઓસ્લો, બ્રસેલ્સ, બુખારેસ્ટ, મિલાનમાં પણ ઝેરીલા નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2)નું પ્રમાણ વધ્યું છે. લંડનમાં ૩૪ ટકા તો રોમમાં ૫૨ ટકાનો વધારો જોવાયો હતો. જોકે, બર્લિનમાં સૌથી ઓછો ૪ ટકાનો વધારો થયો છે.
CREAના વિશ્લેષક લૌરી મિલીવિર્ટાનું કહેવું છે કે વાયુ પ્રદૂષણમાં વધારો કોવિડ-૧૯ના રોગીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. NO2ના હાઈ કોન્સન્ટ્રેશન સાથેની હવા શ્વાસમાં લેવાથી માનવીના શ્વસનતંત્રમાં ફેફસાના એરવેઝમાં દાહ અને ચેપ ઉત્પન્ન થાય છે. યુરોપિયન યુનિયનમાં દર વર્ષે ૭૨,૦૦૦ મોત ફ્યૂલના બળવાથી વાતાવરણમાં પહોંચતા નાઈટ્રોજન ડાયોક્સાઈડ વાયુના કારણે થાય છે.