લંડનઃ યુકેમાં કોરોના લોકડાઉન દરમિયાન સામાજિક સંપર્કો પર કડક નિયંત્રણો મૂકી દેવાયા હતા ત્યારે પુખ્ત વયના પાંચમાંથી બે નાગરિકોએ એકલતા અનુભવી હોવાનું બ્રિટિશ રેડ ક્રોસના નવા સર્વેમાં બહાર આવ્યું છે. ૨૮ ટકા વયસ્કોને તો એવી ચિંતા લાગી હતી કે જો તેમને કશું થઈ જશે તો કોઈના ધ્યાન પર નહિ આવે. આ સર્વેમાં એમ પણ જણાયું હતું કે BAME પશ્ચાદભૂ સાથેના લોકો, પેરન્ટ્સ યુવાન લોકો, લાંબા સમયથી આરોગ્યના સમસ્યા સાથેના લોકો તેમજ ઓછી આવક ધરાવનારા લોકો એકલતા અનુભવે તેવી શક્યતા વધુ હતી.
લોકડાઉનના કઠોર નિયંત્રણો લદાયેલા હતા તે ૧૨-૧૫ મેની ગાળામાં પોલસ્ટર્સ Opinium દ્વારા બ્રિટિશ રેડ ક્રોસ ચેરિટી માટે વસ્તીના પ્રતિનિધિ સમાન ૨,૦૦૦ પુખ્તોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં, ૨૮ ટકાએ તો એવી ચિંતા દર્શાવી હતી કે જો તેમને કશું થઈ જશે તો કોઈને જાણ પણ નહિ થાય. આનાથી વધુ ૩૩ ટકાએ જણાવ્યું કે આગામી વર્ષોમાં તેમની એકલતાની લાગણી વધતી જશે તેવો ભય લાગે છે. અન્ય ચાવીરુપ તારણોમાં ૩૭ ટકા વયસ્કોએ તેમના પડોશીઓનું વર્તન અજાણ્યા જેવું હોવાનું કહ્યું હતું તો અન્ય ૩૧ ટકાએ કહ્યું કે તેઓ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા ત્યારે કોઈ તેમની વહારે આવ્યું ન હતું.
ચેરિટીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસ કટોકટીએ અર્થપૂર્ણ સંપર્કોનો અભાવ કેવી રીતે અકલતાની લાગણી વધારે છે તે દર્શાવ્યું છે અને ઘણા લોકો ભવિષ્યમાં તેઓ વધુ એકલવાયા બની જશે તેવો ડર અનુભવે છે. સર્વેના અગાઉના સપ્તાહમાં ૩૩ ટકા લોકોએ અર્થપૂર્ણ વાતચીતનો અનુભવ પણ કર્યો ન હતો. અન્ય અહેવાલે જણાવ્યું હતું કે મહામારીમાં મોતનો શિકાર બનેલા સંખ્યાબંધ લોકો બે સપ્તાહ સુધી જાણ થયા વિના ઘરમાં જ પડી રહ્યા હતા. આના કારણે, રોયલ કોલેજ ઓફ જીપીઝના અધ્યક્ષ પ્રોફેસર માર્ટિન માર્શલે બ્રિટનમાં ‘એકલતાના રોગચાળા’ના અસ્તિત્વ વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું. સરકારે સ્વીકાર્યું છે કે કોરોના મહામારીની સાથે એકલતા પણ વધી છે. ડિપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે ચેરિટીઝ અને સ્થાનિક જૂથોને ગ્રાન્ટ આપવા પ મિલિયન પાઉન્ડનું ફંડ સ્થાપ્યું છે.