સામગ્રીઃ ૪ નંગ જામફળ • ૧ ટેબલ સ્પૂન લીલી વરીયાળી • ૩ નંગ વઢવાણી મરચાં • હળદર, લાલ મરચું અને ધાણાજીરું - બધું જ અડધી ચમચી • ૧ ટી સ્પૂન છીણેલું આદું • ૨ ટી સ્પૂન ખાંડ • ૧ ટેબલ સ્પૂન તેલ અને ચપટી હીંગ • મીઠું સ્વાદ મુજબ
રીતઃ જામફળને આછા છોલવા. ઊભા ચાર કટકા કરીને વચ્ચેનો બિયાંવાળો ભાગ કાઢી લેવો. બાકીના ભાગના મોટા કટકા કરવા. બિયાંવાળા ભાગમાં થોડું પાણી નાંખીને મસળી લો. સ્ટીલની ચાળણીમાં ઘસીને બિયાં દૂર કરવા. રસાવાળા માવાને બાજુએ રાખવો. વઢવાણી મરચાંને ઊભા ચીરી દરેકના બે કટકા કરવા. તેલ ગરમ મૂકીને હીંગ નાંખી જામફળના કટકા વઘારવા. માવાવાળો રસો, આદુનું છીણ, મરચાંના કટકા ઉમેરવા. વરિયાળી તથા મસાલા નાંખવા અને ધીમેથી હલાવવું. થોડી વાર ઉકાળવું અને જરૂર લાગે તો થોડું પાણી નાંખવું. ખાંડ નાંખીને બરાબર હલાવી ઉતારી લેવું.
નોંધઃ લીલી વરિયાળી ન હોય તો સૂક્કી વરિયાળી લઈ શકાય પણ તેને કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવી. ૨. જામફળનાં કઠણ બિયાં દૂર કરીને શાક ખાવાનું સુગમ પડે છે.