સામગ્રીઃ ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ • ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (લોટમાં નાંખવા) • અડધી વાટકી માવો • ૨ ટેબલ સ્પૂન - પનીર ઘરે બનાવેલું • અડધી વાટકી ખાંડ (માવામાં નાંખવા) • કાજુ - બદામનો અધકચરો ભૂક્કો - ૧ ટેબલ સ્પૂન • અડધી ટી સ્પૂન ઈલાયચીનો ભૂક્કો • ચપટી જાયફળનો ભુક્કો • ૧ ટીસ્પૂન ઘી • તળવા માટે ઘી • ખસખસ - જરૂરત અનુસાર • અડધી વાટકી ખાંડ (ચાસણી માટે) • સજાવટ માટે ગુલાબની થોડીક પાંદડીઓ
રીતઃ ઘઉંના લોટમાં દળેલી ખાંડ નાંખો અને પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવો. પાંચ-છ કલાક રાખી મૂકો. ૧ ટી-સ્પૂન ઘી ગરમ મૂકીને માવાને ગુલાબી શેકો. ખાંડ ઉમેરીને, થોડીક વાર હલાવીને ઉતારી લો. શેકેલા માવામાં પનીર, કાજુ-બદામનો ભુક્કો અને ઈલાયચી-જાયફળનો ભૂક્કો ઉમેરીને પૂરણ તૈયાર કરવું. ખીરાને ચમચા વડે ખૂબ ફીણવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવવું. નાના, નોનસ્ટીક ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ મૂકવું. ચમચા વડે, જરા ઉંચેથી ખીરું રેડીને પાતળો માલપૂવો બનાવવો. બંને બાજુએ ગુલાબી થાય એટલે ઉતારી લેવો. અડધા ભાગમાં પૂરણ મૂકીને બાકીનો ભાગ ઉપર વાળી દેવો. બધા માલપૂવા આ રીતે તૈયાર કરીને લંબગોળ ડીશમાં લાઈનસર ગોઠવો. ખાંડની પાતળી ચાસણી કરીને થોડી ઈલાયચીનો ભૂક્કો નાંખી માલપૂવા પર રેડવી. ઉપર ખસખસ ભભરાવીને ગુલાબની પાંદડીઓથી સજાવો.