ન્યૂ યોર્કઃ જે મહિલાઓ અપૂરતી ઊંઘ લેતી હોય કે અનિદ્રાથી પીડાતી હોય તો તેઓ વધુ ભોજન આરોગતી લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કરીને આ તારણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે મહિલાઓને ઊંઘ આવવામાં વધુ સમય લાગતો હતો તેઓ વધુ કેલરી ધરાવતા પદાર્થોનું સેવન કરતી હતી. જે મહિલાઓ આખી રાત ઊંઘવાની મુશ્કેલી અનુભવતી હતી તે વધુ ફેટ ધરાવતા પદાર્થો ખાવાનું પસંદ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.
સંશોધકોનું કહેવું છે કે સામાન્ય રીતે તમારી આંખો બંધ થયા પછી પણ ઊંઘ ન આવે અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે ત્યારે મગજને ખોટા સંદેશ મળે છે. ક્યારેક એમ લાગે છે કે પેટ સાવ ખાલી છે અને કંઈક ખાવું પડશે તો ક્યારે એમ બને છે કે, પેટ અત્યંત ભરેલું છે અને તેથી ઊંઘ આવતી નથી. આ લોકોને લાંબા ગાળે હૃદયની બીમારીઓ પણ થતી હોવાનું સામે આવ્યું છે જે મહિલાઓ અનિદ્રાથી પીડાય છે તેઓ વધુ પડતું ભોજન કરે છે જેને કારણે સ્થૂળતા વધે છે. આ સ્થૂળતા લાંબા ગાળે હૃદયરોગ અને અન્ય રોગો તરફ દોરી જાય છે.
ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, તેમણે મહિલાઓના ભોજન અને ઊંઘ વચ્ચે સૌથી વધારે જોડાણ હોવાનું તારણ કાઢ્યું છે. મહિલાઓને સામાન્ય રીતે ઊંઘની સમસ્યા હોય જ છે પણ જેઓ આ કારણે વધુ ભોજન તરફ ફંટાયા છે તે બીમારીનું લક્ષણ ગણી શકાય.