સ્ટોકહોમઃ મચ્છરથી મેલેરિયા જેવા રોગ ફેલાય છે ત્યારે તેને અટકાવવા માટે સ્વીડનના વૈજ્ઞાનિકોએ હવે મચ્છરોને ઝેર આપીને મારવાનો પ્રયોગ કર્યો હતો. આ માટે મચ્છરોને ઝેરી બીટનું જ્યૂસ પીવડાવવામાં આવ્યું હતું. મચ્છરો તેને માણસનું લોહી સમજીને પી ગયા અને થોડા સમયમાં મરી ગયા હતા. આ પ્રયોગ સ્વીડનની કંપની મોલિક્યૂલ એટ્રેક્શને કર્યો હતો. જેનું કહેવું છે કે, મેલેરિયાથી પીડાઈ રહેલા દર્દીઓના લોહીમાં HMBPP મોલેક્યૂલ મળી આવે છે. આ મોલેક્યૂલ ખાસ પ્રકારની ગંધ છોડે છે, જેનાથી મચ્છરો આકર્ષિત થાય છે અને માણસનું વધારે લોહી ચૂસે છે. આ વાતને ધ્યાને રાખીને વૈજ્ઞાનિકોએ બીટના જ્યૂસમાં HMBPP મોલેક્યૂલ અને છોડમાંથી કાઢવામાં આવેલું ખાસ પ્રકારનું ઝેર મેળવ્યું હતું. મચ્છરો આના તરફ આકર્ષિત થયા અને આ લિક્વિડને પીધું જેના થોડા સમય બાદ બધા મચ્છરો મરી ગયા હતા.
HMBPP મોલેક્યૂલની ખાસ વાત એ છે કે, તે બીજા કીટકો અને પતંગિયાઓને આકર્ષિત કરતું નથી. આમ મચ્છરોને આકર્ષિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. વળી, અન્ય હાનિકારક કીટકનાશકોની તુલનામાં મચ્છરોને ખતમ કરવા માટે આ મિશ્રણની બહુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. આ ખાસ પ્રકારનું મિશ્રણ એનાફિલિસ મચ્છરોની પાંચ પ્રકારની પ્રજાતિને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું હતું, જે મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર છે. મચ્છરોને મારવાનો આ પ્રયોગ આફ્રિકા જેવા દેશોમાં કારગર સાબિત થશે, જ્યાં મેલેરિયાનાં સૌથી વધારે કેસો સામે આવે છે. નોંધનીય છે કે, દુનિયાભરમાં દર વર્ષે મેલેરિયાથી ચાર લાખ લોકોના મોત થાય છે.