આશાવાદનો તંદુરસ્ત ડોઝ લો અને બીમાર પડવાથી દૂર રહો
વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન આપે છે. તેલ અવિવ યુનિવર્સિટીના ડો. નિટ્ઝાન લુબિઆનીકેરની રાહબરી હેઠળના સંશોધનોમાં સ્થાપિત થયું છે કે આશાવાદ સાથે સંકળાયેલી બ્રેઈન સર્કિટ્સને સક્રિય બનાવતા આશાવાદી વિચારો માટે તાલીમ પામેલા પરીક્ષણ હેઠળના લોકોને અપાયેલી વેક્સિને મજબૂત પ્રતિક્રિયા ઉભી કરી હતી.
જોકે, આ તારણો એમ નથી જણાવતા કે વેક્સિન્સ અથવા તબીબી સારવારોનું સ્થાન આશાવાદ લઈ શકે છે. સારવારો તો આવશ્યક રહે છે, પરંતુ આશાવાદી વિચારો સાજા થવામાં મજબૂત પાયો ઉભો કરે છે. સંશોધન અનુસાર આશાવાદી વિચારોથી આપણા શરીરોને સાજા કરવાની મન અને મગજની કુદરતી ક્ષમતાઓને નિયંત્રણમાં રાખવાનું શક્ય બને છે. આવો અભિગમ કેન્સર ઈમ્યુનોથેરાપી જેવા ક્ષેત્રમાં મદદ કરી શકે છે જ્યાં શરીરને ટ્યુમર્સનો નાશ કરવાની તાલીમ મળે છે.
સંશોધનમાં 85 વોલન્ટીઅર્સ હતા. એક ગ્રૂપને પ્રેરણા, આશા અને અપેક્ષામાં ભૂમિકા ધરાવતા મગજના હિસ્સા નાના વેન્ટ્રલ ટેગ્મેન્ટલ એરિયા (VTA) માં એક્ટિવિટી વધારવાની તાલીમ અપાયેલી હતી. આ લોકોને સ્ક્રીન પર હસતો ચહેરો દર્શાવાયો હતો જે તેઓ તેમની ટાર્ગેટ બ્રેઈન સર્કિટ્સને સફળતાપૂર્વક સક્રિય બનાવે ત્યારે વધુ મોટો થતો હતો. આ ઉપરાંત, બે કન્ટ્રોલ ગ્રૂપ હતા. એક ગ્રૂપને ઈનામ અથવા આશા સાથે નહિ સંકળાયેલા મગજના હિસ્સામા્ં એક્ટિવિટી વધારવાની તાલીમ અપાઈ હતી જ્યારે બીજા કન્ટ્રોલ ગ્રૂપને કોઈ જ બ્રેઈન ટ્રેનિંગ અપાઈ ન હતી.
પરીક્ષણનાં બીજા તબક્કામાં વેલન્ટીઅર્સને સ્ટાન્ડર્ડ હિપેટાઈટિસ B વેક્સિન અપાયું હતું તેમજ 14 અને 28 દિવસ અને ત્રણ મહિના પછી તેમના લોહીમાં એન્ટિબોડીઝનું લેવલ માપવામાં આવ્યું હતું. ‘નેચર મેડિસીન’ જર્નમાં પ્રકાશિત પરિણામોએ દર્શાવ્યું હતું કે VTAમાં એક્ટિવિટી વધારવાની તાલીમ મેળવેલા લોકોમાં રક્ષણાત્મક એન્ટિબોડીઝનાં ઉત્પાદનનું સ્તર નોંધપાત્રપણે ઊંચું જોવા મળ્યું હતું.
•••
પ્રેન્ક્રીઆસના રિપ્રોગ્રામિંગની સફળતા ડાયાબિટીસનો કાયમી ઉપચાર લાવશે
ટાઈપ 2 ડાયાબિટીસ અને વજન ઘટાડાની સારવારમાં ઉપયોગી ઓઝેમ્પિક (Ozempic) જેવી દવાઓની આડઅસરોના રિપોર્ટ્સ આવતા થયાં છે ત્યારે વિજ્ઞાનીઓએ ઓઝેમ્પિકના ઉપયોગ વિના જ કુદરતી રીતે ગ્લુકાગોન- લાઈક પેપ્ટાઈડ-1 (GLP-1)નું ઉત્પાદન કરવા પ્રેન્ક્રીઆસ (સ્વાદુપિંડ- અગ્નાશય)ને રિપ્રોગ્રામ કરવામાં મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. GLP-1 હોર્મોન બ્લિડ સુગરને નિયંત્રિત રાખે છે, ભૂખ પર અંકુશ ધરાવે છે અને ઈન્સ્યુલિન સંવેદનશીલતાને સુધારે છે. પેન્ક્રીઆસ આપમેળે જ આ હોર્મોનનું ઉત્પાદન કરે તેને શક્ય બનાવી સંશોધકોએ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કુદરતી અને સંભવતઃ કાયમી ઉપાયનો માર્ગ મોકળો બનાવ્યો છે.
આ નવતર અભિગમ કોષના સ્તરે કામ કરે છે, જે પેન્ક્રીઆટિક સેલ્સમાં ફેરફાર કરે છે જેના પરિણામે કોષો સક્ષમપણે GLP-1નું ઉત્પાદન કરવા લાગે છે. પ્રાથમિક પરીક્ષણોમાં બ્લડ સુગર કન્ટ્રોલ, ઈન્સ્યુલિન પ્રતિકારમાં ઘટાડો તેમ જ વજનમાં સુધારાઓ વિશે નોંધપાત્ર સફળતા જોવા મળી છે. આના પરિણામસ્વરૂપ, આગળ જતા ડાયાબિટીસની સારસંભાળમાં રોજિંદા ઈન્જેક્શનો કે ખર્ચાળ દવાઓ પર આધાર રાખવાનું ઘટી જશે. સમયાંતરે પ્રેન્ક્રીઆસનું રિપ્રોગ્રામિંગ સ્ટાન્ડર્ડ થેરાપી બની જશે જેનાથી કરોડો લોકોને દવાઓ પર સતત આધાર રાખ્યા વિના તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળશે. નિષ્ણાતો એમ પણ માને છે કે આ શોધ અન્ય મેટાબોલિક કંડિશન્સની નવી સારવારને પણ પ્રેરણા આપશે. બહારથી દવાઓ દાખલ કરવાના બદલે શરીરના પોતાના અંગો અને સિસ્ટમ્સને લક્ષ્ય બનાવવાથી લાંબા ગાળાના રોગોની સંભાળ માટે સલામત અને કાયમી સ્વરૂપનો માર્ગ ઓફર કરી શકાશે.


