ઉનાળાના આગમન સાથે જ ગરમીએ તેનું જોર દેખાડ્યું છે. એક હિટ તો આવી પણ ગયું, અને ગરમીનો બીજો રાઉન્ડ આવે તો પણ નવાઇ નહીં. ગરમીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. અને આવી સમસ્યાથી બચવા માટે દહીં અને શેકેલું જીરું ખાવું ફાયદાકારક રહે છે. આયુર્વેદ અનુસાર જીરું અને દહીંનું મિશ્રણ પાચન માટે રામબાણ ઔષધી છે. ઉનાળામાં રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ અને તેમાં પણ શેકેલું જીરું ઉમેરવું જોઈએ. આ કોમ્બિનેશન ગરમી માટે સુપર ફુડ છે.
• પાચન સુધરશે: પાચનની તકલીફોથી રાહત મેળવવા માટે જમવાની સાથે એક વાટકી દહીંમાં શેકેલું જીરું અને સંચળ ઉમેરીને ખાવું જોઈએ. બપોરના સમયે જીરું અને સંચળા વાળું દહીં ખાવાથી અપચો, ગેસ, બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળી શકે છે. કારણ કે દહીં અને શેકેલું જીરું પાચનતંત્રની નબળાઈ દૂર કરી ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
• પેટને ઠંડક આપશે: ઉનાળામાં જો તમે શરીરને અંદરથી ઠંડક આપવા માટે પ્રોબાયોટિકથી ભરપુર દહીં ખાવું જોઈએ. ઘરના દહીંમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેરીને ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.
• મેટબોલિઝમ બુસ્ટરઃ દહીં પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. બપોરના ભોજનની સાથે દહીં અને તેમાં શેકેલું જીરું ઉમેરીને ખાવાથી મેટાબોલિઝમ વધુ સારું થાય છે એટલે ભોજનનું પાચન સારી રીતે થાય છે. દહીં અને શેકેલું જીરું ખાવાથી શરીરની કેલેરી ઝડપથી બાળવામાં મદદ મળે છે. જે લોકો વજન ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેમણે ડાયટમાં દહીં અવશ્ય સામેલ કરવું જોઈએ.
• ડિહાઇડ્રેશનથી બચાવશે: જો તમે ભોજનની સાથે દહીંમાં જીરું અથવા તો છાશમાં જીરું ઉમેરીને લેશો તો ડિહાઇડ્રેશનથી બચી શકશો. દહીં અને જીરું શરીરને જરૂરી મિનરલ્સ પૂરા પાડે છે.
• ભૂખ વધારે છેઃ ઉનાળાના સમયમાં સામાન્ય સંજોગોમાં ભુખ ઓછી લાગે છે. ગરમીના કારણે કંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. આવા સમયે દહીં અને જીરું લેવાથી ભૂખ વધે છે.


