ઓછાં બેઠાડું જીવનથી અલ્ઝાઈમર્સનું જોખમ ઘટશે

હેલ્થ બુલેટિન

Saturday 07th June 2025 08:30 EDT
 
 

ઓછાં બેઠાડું જીવનથી અલ્ઝાઈમર્સનું જોખમ ઘટશે

ભૂતકાળમાં અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે કે કસરત, આરોગ્યપ્રદ ખોરાક, ધૂમ્રપાન ન કરવું, પૂરતી ઊંઘ સહિતના લાઈફસ્ટાઈલ પરિબળ અલ્ઝાઈમર્સ રોગનું જોખમ ઘટાડે છે. જોકે ‘અલ્ઝાઇમર્સ એન્ડ ડિમેન્શિયાઃ ધ જર્નલ ઓફ ધ અલ્ઝાઇમર્સ એસોસિએશન’માં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે છે કે જે વૃદ્ધો વધુ સમય બેસી રહેવામાં કે સૂતાં રહેવામાં ગાળે છે તેઓ ગમેતેટલી કસરત કરે છતાં તેમને મગજના અલ્ઝાઈમર્સ રોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોનાં સંકોચન અને જ્ઞાનેન્દ્રિયોના નીચલા સ્તરનું જોખમ વધુ રહે છે. આ અભ્યાસમાં 50 વર્ષ અને તેથી વધુ વયના 404 લોકોના હેલ્થ ડેટાની ચકાસણી કરાઇ હતી. આ લોકોને એક સપ્તાહ માટે 24 કલાક સુધી તેમની પ્રવૃત્તિઓની નોંધ લેતી સ્માર્ટવોચ પહેરાવાઈ હતી. સંશોધકોને જણાયું હતું કે નિષ્ક્રિય કે બેઠાડું જીવન ધરાવનારા લોકોમાં જ્ઞાનેન્દ્રિયોની શક્તિમાં ઘટાડો ને ન્યૂરોડિજનરેટિવ ફેરફારોનું જોખમ વધુ હતું. કસરતો ઓછી કરવાની સરખામણીએ બેઠાડું રહેવું તે આરોગ્ય માટે વધુ નુકસાનકારક છે. વિશ્વમાં 32 મિલિયન લોકો સ્મૃતિભ્રંશની આ સમસ્યા સાથે જીવે છે અને અલ્ઝાઈમર્સને મટાડી શકે તેવી કોઈ સારવાર હાલ ઉપલબ્ધ નથી. આથી જીવનશૈલીમાં ફેરફાર થકી જ અલ્ઝાઈમર્સને આગળ વધતો અટકાવવો શક્ય છે.

•••

પ્રોટીન ક્યારે લેશો, વર્કઆઉટ પહેલાં કે પછી?

આપણા શરીરમાં સ્નાયુનિર્માણ, ક્ષતિગ્રસ્ત માંસપેશીના સમારકામ, રોગપ્રતિકાર શક્તિ અને મેટાબોલિઝમ સહિતની જૈવિક પ્રક્રિયાઓ માટે એમિનો એસિડ્સ ધરાવતું તત્વ પ્રોટીન આવશ્યક છે. શરીરને સ્વસ્થ રાખવા પણ પ્રોટીનની સાથે વ્યાયામ કે કસરત જરૂરી છે. જીમમાં વર્કઆઉટ કરનારા લોકોને પ્રોટીનની જરૂરત વધુ રહે છે અને તેઓ પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા હોય છે ત્યારે પ્રોટીન વર્કઆઉટ પહેલાં લેવું કે પછી લેવું જોઈએ તેવો પ્રશ્ન થાય છે. સંશોધનમાં 21 પુરુષોને બે ગ્રૂપમાં વહેંચી દઈ એક ગ્રૂપને વર્કઆઉટ પહેલાં અને બીજા ગ્રૂપને વર્કઆઉટ પછી પ્રોટીન અપાયું હતું. 10 સપ્તાહ પછી પરીક્ષણ કરાયું ત્યારે બંને જૂથના લોકોની સ્નાયુની શક્તિ કે કદમાં ખાસ તફાવત જણાયો ન હતો. સંશોધનના તારણો અનુસાર તમે વર્કઆઉટ પહેલા કે પછી ગમે ત્યારે પ્રોટીનનું સેવન કરી શકો છો.
વર્કઆઉટ પહેલાં લેવાયેલું પ્રોટીન શરીરને ઉર્જા આપે છે અને સ્નાયુઓના નુકસાનને રોકવામાં મદદ કરે છે. કસરત અગાઉ પ્રોટીનયુક્ત ખોરાક કે સપ્લિમેન્ટ્સ લેવાય તો તે સ્નાયુઓને ઇંધણ આપે છે અને વર્કઆઉટ દરમિયાન વધુ સારા પરફોર્મન્સમાં મદદ કરે છે. બીજી તરફ, વ્યાયામ પછી પ્રોટીન લેવાય ત્યારે તે સ્નાયુઓની રિકવરી, ક્ષતિગ્રસ્ત માંસપેશીના સમારકામ અને વિકાસમાં મદદરૂપ બને છે. આ સ્થિતિમાં જરૂરત અનુસાર, વર્કઆઉટ પહેલાં કે પછી ગમેત્યારે પ્રોટીન લઈ શકો છો. સૌથી મહત્ત્વની બાબત દૈનિક પ્રોટીન લેવાની છે. વ્યક્તિના પ્રતિ 1 કિલોદીઠ શરીર માટે દરરોજ 0.8 ગ્રામ પ્રોટીન જરૂરી છે. આ લઘુતમ જરૂરિયાત છે. જોકે, શરીરને તાકાતવર બનાવવા લોકોએ દૈનિક 1.6 ગ્રામ પ્રતિ શારીરિક કિલો વજન અનુસાર પ્રોટીન લેવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter