બર્લિન: ફળ અને પૌષ્ટિક આહારથી લોકો સ્વસ્થ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના સ્થળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા છે કે તમે પણ તેને અનુસરશો. જર્મનીની કોલોન યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે સ્થળે વ્યક્તિ કામ કરે છે અને ત્યાં તેમના સહકર્મીઓ ફળ અથવા ઘરનું ભોજન લે છે તો અન્ય કર્મચારીઓ પણ જંકફૂડ છોડીને ઘરનો જ આહાર લેવાનું પસંદ કરે છે. રિસર્ચ અનુસાર પરિવાર અથવા પાડોશી પણ એવું કરે છે તો વ્યક્તિ પ્રેરિત થાય છે, પરંતુ સહકર્મીઓની જલદી પ્રભાવિત થાય છે. તેનું મોટું કારણ એ છે કે એક વ્યક્તિ તેમના સહકર્મીઓ સાથે મહત્તમ સમય વિતાવે છે, અનેક કલાકો સુધી કામ કરે છે, વાતો કરે છે. પરિણામે, તેનો પ્રભાવ વધુ પડે છે. 113 સંસ્થાઓના 4 હજારથી વધુ કર્મચારીઓ પર થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઓફિસવર્ક કરતા લોકો પાસે વ્યાયામ કરી શકે તેટલો પર્યાપ્ત સમય હોતો નથી. આથી તેઓ સહકર્મીઓ સ્વસ્થ રહેવા માટે શું કરે છે તેનું આક્લન કરે છે. પૌષ્ટિક આહાર અને ફળોનું સેવન આવો જ એક વિકલ્પ છે, જે સરળ પણ છે. સહકર્મીને જોઇને અન્યો પણ તેનું સેવન શરૂ કરે છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓફિસમાં જ લોકોના રોલમોડેલ હોય છે, જેમને તેઓ અનુસરવા માટે પ્રયાસ કરે છે. જ્યારે રોલમોડેલ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો આરોગે છે ત્યારે તે પણ એ જ ટ્રેન્ડ અનુસરે છે.