કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

કેન્સર સામેનો જંગ જીતવાનો મંત્ર આપે છે કિંગ ચાર્લ્સ

Wednesday 14th May 2025 05:23 EDT
 
 

લંડનઃ રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય છે અને પેશન્ટ કેન્સરમાંથી બચી પણ શકે છે. તાજેતરમાં કેન્સરગ્રસ્ત કિંગ ચાર્લ્સ તૃતીયે બકિંગહામ પેલેસમાં આયોજિત એક કાર્યક્રમમાં ક્વીન કેમિલા અને પ્રેઝન્ટર લોરૈન કેલી સહિત 500 જેટલા મહેમાનો સમક્ષ દિલ ખોલીને વાત કરી મહત્ત્વનો સંદેશ આપ્યો હતો કે, ‘કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો’.

કિંગ ચાર્લ્સે કેન્સર હોવાના ‘ડારામણા અને ઘણી વખત ભયાવહ’ અનુભવ વિશે લખ્યું છે જેમાં પોતાના નિદાન વિશે સૌથી અંગત વિચારો રજૂ કર્યા છે. તેમણે 2022માં કેન્સરથી મોતનો શિકાર બનેલા કેમ્પેઈનર ડેબોરાહ જેમ્સનાં શબ્દોને ટાંકતા જણાવ્યું હતું કે, ‘ જીવનને આનંદપૂર્ણ, માણવાલાયક બનાવો, જોખમ ઉઠાવો, ગાઢ પ્રેમ કરો, કોઈ અફસોસ ન રાખો અને હંમેશાં, હંમેશાં બળવાખોર આશા રાખો.’

કિંગ ચાર્લ્સનો સંદેશો બકિંગહામ પેલેસમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો સાથે કામ કરનારાઓનું સન્માન કરવા આયોજિત રિસેપ્શનમાં અતિથિઓ માટેની બુકલેટમાં રજૂ કરાયો હતો. કિંગના સહાયકોના જણાવ્યાનુસાર કિંગના ‘અત્યંત વ્યક્તિગત’ શબ્દોએ તેમના અનુભવોને પ્રતિબિંબિત કર્યા છે. કિંગ ચાર્લ્સને ગત વર્ષે જાન્યુઆરીમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સાથે તેઓ યુકેમાં દર વર્ષે કેન્સરનું નિદાન કરાતા 390,000 લોકોમાંથી એક બન્યા હતા.

કિંગ ચાર્લ્સે લખ્યું હતું કે, ‘દરેક નિદાન, દરેક નવો કેસ, તે વ્યક્તિઓ અને તેમના પ્રિયજનો માટે ડરામણો અને ક્યારેક ભયજનક અનુભવ હશે. પરંતુ હું પોતે આ આંકડાઓમાં એક હોવાથી, એ હકીકતની ખાતરી આપી શકું છું કે તે સ્પષ્ટપણે માનવતાનું સૌથી શ્રેષ્ઠ પાસું દર્શાવતો અનુભવ પણ હોઈ શકે છે. આજની સાંજે એકત્ર થયેલા અસામાન્ય સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા કરાતા ઉત્કૃષ્ટ કાર્યની ખૂબ જ હું ઊંડી પ્રશંસા કરું છું, જેમાંથી ઘણાને હું વર્ષોથી જાણું છું, મુલાકાત લીધી છે અને સમર્થન આપ્યું છે. અને આનાથી મેં આ મુલાકાતો દરમિયાન કરેલું નિરીક્ષણ મક્કમ બન્યું છે — કે બીમારીની સૌથી અંધકારમય ક્ષણો પણ સૌથી મહાન કરુણાથી પ્રકાશિત થઈ શકે છે.’
તેમણે ગત વર્ષે પ્રિન્સેસ ઓફ વેલ્સની કિમોથેરાપી સારવારનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કેન્સર કેરમાં કાર્યરત તમામ લોકો પ્રત્યે ‘ મારા સમગ્ર પરિવારના ઊંડા આદર અને કૃતજ્ઞતા’ છે. તેમણે કહ્યું હતું કે, ‘ માનવીય સંબંધની ગહન અસર અમને વારંવાર અભિભૂત કરે છે - ભલે તે નિષ્ણાત નર્સનો સાવચેતીપૂર્ણ ખુલાસો હોય, હોસ્પિસના સ્વયંસેવક દ્વારા પકડાયેલો હાથ હોય, કે સપોર્ટ ગ્રૂપમાં વહેંચાયેલો અનુભવ હોય. સંબંધની આ ક્ષણો ‘કાળજીનો સમુદાય’ બનાવે છે, જે દર્દીઓને સૌથી મુશ્કેલ સમયમાં પણ ટકાવી રાખે છે.’

કિંગ ચાર્લ્સે સોશિયલ મીડિયા પર ‘બોવેલબેબ’ તરીકે જાણીતા અને જૂન 2022માં માત્ર40 વર્ષની વયે આંતરડાંનાં કેન્સરથી મૃત્યુ પામેલાં ડેમ ડેબોરાહ જેમ્સને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમ્સે કેન્સર વિશે જાગૃતિ ફેલાવી ચેરિટી માટે લાખો પાઉન્ડ એકત્ર કર્યાં હતાં.
કિંગે આખરમાં કહ્યું હતું કે, ‘જેઓ આજે, કાલે કે ભવિષ્યમાં કોઈપણ સમયે આવા દુઃખદ સમાચાર મેળવી રહ્યા હોય, તેમના માટે હું ફક્ત દિવંગત ડેબોરાહ જેમ્સની વિદાયના શબ્દોના પડઘા પાડી શકું છું. તેમનું ઉદાહરણ આપણા બધા માટે બીમારીમાં અને સ્વાસ્થ્યમાં પ્રેરણાદાયી છે:‘ જીવનને આનંદપૂર્ણ, માણવાલાયક બનાવો, જોખમ ઉઠાવો, ગાઢ પ્રેમ કરો, કોઈ અફસોસ ન રાખો અને હંમેશાં, હંમેશાં બળવાખોર આશા રાખો.’

ચાર્લ્સ બકિંગહામ પેલેસના બોલરૂમમાં કેન્સર ‘સમુદાય’ ના લોકોના સન્માન માટે રિસેપ્શનમાં આમંત્રિત કરાયેલા 500 અતિથિઓ સાથે જોડાયા હતા. આમંત્રિતોમાં બ્રેસ્ટ અને ત્વચાનું કેન્સર ધરાવતાં ડચેસ ઓફ યોર્ક સારાહ, કિડની કેન્સરથી મુક્ત થયેલા હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ, બ્રેસ્ટ કેન્સરથી પીડાયેલાં બીબીસી જર્નાલિસ્ટ વિક્ટોરિયા ડર્બીશાયર અને ડાન્સર એમી ડાઉડેન, અભિનેતા રિચાર્ડ ઈ ગ્રાન્ટ, અને ઓવરીઝનું કેન્સર ધરાવનારાં પ્રેઝન્ટર લોરૈન કેલી સહિતનો સમાવેશ થયો હતો. ડચેસ ઓફ યોર્ક સારાહે જણાવ્યું હતું કે, ‘મારું માનવું છે કે ‘કિંગ (કેન્સર વિશે ખુલ્લા દિલે ચર્ચા જગાવવામાં) વાસ્તવમાં ક્રાંતિકારી ઉદાહરણ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter