ઝ્યૂરિચ/વોશિંગ્ટનઃ દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીનો ટૂંકમાં અંત આવશે તેવી આશા કસમયની, અવાસ્તવિક અને ઠગારી છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ઈમરજન્સી પ્રોગ્રામ ડિરેકટર ડો. માઈકલ રયાનનું કહેવું છે. તેમનું કહેવું છે કે વર્ષનાં અંત સુધીમાં કોરોના વિદાય લેશે તેવી માન્યતા ખોટી અને ભૂલભરેલી છે. રયાને કહ્યું કે તાજેતરમાં કેટલાક દેશમાં બનાવવામાં આવેલી વેક્સિનથી દર્દીઓનાં મૃત્યુનું તેમજ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ ઘટશે. આખા વિશ્વએ હાલ કોરોનાનાં સંક્રમણને શક્ય તેટલા ઓછામાં ઓછા સ્તરે રાખવાની જરૂર છે.
સંક્રમણમાં વધારો
WHOના વડા ટુડ્રોસ ગેબ્રાસિસે કહ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં સંક્રમણ અને કેસમાં થયેલો વધારો ચિંતાજનક છે. તેમણે સંક્રમણ રોકવા માટેનાં પગલાં તેમજ પ્રતિબંધો હળવા નહીં કરવા તમામ દેશોને અપીલ કરી હતી. કેટલાક દેશો વેક્સિન પર મદાર રાખે છે અને પ્રતિબંધો હળવા કરી રહ્યા છે પણ તે ભૂલભરેલું છે.