લંડનઃ એક તબીબી અભ્યાસના તારણ અનુસાર, કોરોનાની આડઅસર રૂપે દર્દીને માનસિક બીમારી થઈ શકે છે. ‘ફ્રન્ટિયર ઇન સાયકોલોજી’ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ૧૭થી ૪૨ ટકા દર્દીઓમાં ન્યૂરોસાઈકિયાટ્રીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. કોરોના વાઇરસ શરીરમાં તો ગંભીર અસર સર્જે જ છે, પરંતુ દિમાગ પર પણ તેની ઊંડી અસર થાય છે.
ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસનો અહેવાલ ‘ફ્રન્ટિયર ઇન સાયકોલોજી’ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. જેમાં જણાવાયું છે કે કોરોનામાંથી સાજા થયા પછી પોસ્ટ-ડ્રામેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ શકે છે. ૧૭થી ૪૨ ટકા દર્દીમાં આ સમસ્યા જોવા મળી હતી. કોરોના પહેલાં ૯૫ ટકા દર્દીઓ માનસિક રીતે એકદમ ફિટ અને સંતુલિત હતા. કોરોનાના કારણે તેમને દિમાગમાં આડઅસર સર્જાઈ હતી. કોરોનામાંથી સાજા થયા પછી અને રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ ઘણાં દર્દીઓમાં ન્યૂરોસાઈકિયાટ્રીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. આવા દર્દીઓ માનસિક તાણમાં રહેવા લાગ્યા હતા. ઘણા દર્દીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. માનસિક તણાવમાં રહેતા હોય એવા કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૪ ટકા જેટલી ઊંચી હતી. માનસિક બીમારી એટલે માત્ર માનસિક સંતુલન ખોરવાઈ જાય એવું નહીં, પરંતુ અકારણ ચિંતા રહેવી, ઊંઘ ન આવવી, માનસિક રીતે થાક લાગવે વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સંશોધકોએ કોરોનામાંથી સાજા થયલા ૨૦૦ લોકો પર અભ્યાસ કર્યો હતો. ૨૦૦ લોકોનું જીવન કોરોનામાંથી સાજા થયા પછી કેવું છે અને તેમની દિનચર્ચા કેવી છે તે બાબતે સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને માનસિક રીતે કેવો અનુભવ થાય તે પણ તપાસ કરવામાં આવી હતી.
અહેવાલમાં કહેવાયું હતું કે આ બધી જ માનસિક બીમારીઓનો જો યોગ્ય સમયે ઇલાજ કરવામાં આવે તો સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે, પરંતુ કોરોના પછી એ દિશામાં જો માનસિક રીતે ગરબડ જણાય તો તેમણે સત્વરે યોગ્ય સારવાર લેવી જોઈએ એવી સલાહ સંશોધકોએ આપી છે.