સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય આરોગ્ય અને તંદુરસ્તી માટે દિવસમાં માત્ર એક પેશી ખજૂર ખાવાના પણ ઘણા ફાયદા છે. આથી જ તેનો તમારા રોજિંદા ખોરાકમાં સમાવેશ થવો જોઈએ. અલબત્ત, તમારા શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને.
ભરપુર પ્રમાણમાં પોષક તત્વો
ખજૂરના એક ફળમાં પણ ભરપુર પોષક તત્વો અને રસ હોય છે. ખજૂરમાં ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને વિટામિન બી6 અને વિટામિન કેની ભરપુર માત્રા રહેલી છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું અને હાડકાંને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
તેનાથી શરીરની ઊર્જા વધે
ખજૂરમાં સામાન્ય રીતે શર્કરાનાં ગ્લૂકોઝ, ફ્રુક્ટોઝ અને શુક્રોઝ જેવા પ્રકારોમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલાં છે. માત્ર એક ખજૂર ખાવાથી પણ શરીરને નવી ઊર્જા મળી શકે છે, તેથી તમે થાક અનુભવતા હોય કે કસરત કરતાં પહેલાં થોડી ઊર્જા મેળવવા ઇચ્છતા હોય તો ખજૂર તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
પાચનશક્તિમાં વધારો કરે
ખજૂરમાં ઊંચા પ્રમાણમાં ફાઇબર હોવાથી તે પેટ સાફ રાખે છે અને કબજિયાત થતી અટકાવે છે. પરિણામે તમારું પાચનતંત્ર મજબૂત બને છે. ખજૂરમાં રહેલું સોલ્યુબલ ફાઈબર શરીરમાં સારા બેક્ટેરિયાને વધવામાં મદદ કરે છે, જે શરીરમાં માઇક્રોબાયોટાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી સુધારે
ખજૂરના નિયમિત સેવનથી હૃદયની બીમારીનું જોખમ પણ ઘટે છે, તેમાં કોલેસ્ટ્રોલનું નીચું પ્રમાણ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સનું પ્રમાણ હોવાની સાથે, ફેનોલિક એસિડ, કેરોટેનોઈડ્સ રહેલાં છે. તે રૂધિરાભિસરણ તંત્રમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને બળતરમાં ઘટાડો કરે છે.
શુગરના સ્તરને નિયંત્રણમાં રાખે
ખજૂરમાં ગ્લાઈકેમિક ઇન્ડેલું પ્રમાણ ઓછું હોય છે, તેનો અર્થ છે કે અન્ય મીઠાઈઓ કે શુગરવાળા નાસ્તાની સરખામણીએ ખજૂરની કુદરતી શર્કરા બ્લડ શુગરનું પ્રમાણ ધીરે ધીરે અને એક સમાન ગતિએ વધારે છે. તેથી ખજૂર ડાયાબિટીક લોકો માટે પણ જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એક સારો વિકલ્પ બની શકે છે.
હાડકાંનું આરોગ્ય સુધારે
ખજૂરમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મજબૂત અને તંદુરસ્ત હાડકાં માટે જરૂરી છે, જેનું ખજૂરમાં ભરપુર પ્રમાણ છે. વારંવાર ખજૂર ખાવાથી ફ્રેક્ચર જેવી તકલીફો ઘટે છે અને હાડકાંને લગતી ઓસ્ટિયોપોરોસીસ જેવી બીમારીની શક્યતા પણ ઓછી થાય છે.
વજન નિયંત્રણમાં રાખે
ખજૂરનાં રેસાં અને પોષક તત્વો તમને લાંબા સમય સુધી ભૂખ અનુભવવા દેતાં નથી, તેના કારણે તમે ઓછું ખાઓ છો. આથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે. ખજૂરની મીઠાશ ગળ્યું ખાવાની તમારી ઈચ્છાને દબાવી દે છે, તેથી તમે અન્ય મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો છો.
મગજને તેજ કરે છે
ખજૂરમાં રહેલાં વિટામિન અને એન્ટિઓક્સિડેન્ટ્સ બે એવા તત્વો છે જે મગજના કામને જાળવી રાખવામાં મદદ કરે છે. મગજના કોષોને ઓક્સિડેટીવ તાણ અને બળતરાથી બચાવીને તમારી ઉંમર વધવાની સાથે આવતી ભુલવાની બીમારી કે મગજને લગતી તકલીફો ઘટાડે છે.
એનિમિયામાં આશીર્વાદરૂપ
ખજૂરમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે, જે આયર્નની ખામીથી સર્જાતાં એનિમિયાના લક્ષણોને પણ નિવારે છે. લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબિનનું સંશ્લેષણ, જે સમગ્ર શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે, તે આયર્ન પર આધારિત છે. તમારા આહારમાં ખજૂરનો સમાવેશ કરવાથી આયર્નનું સ્તર વધે છે અને એનિમિયાના કારણે થતા થાક સામે લડવામાં મદદ મળે છે.
ત્વચાને ચમકદાર બનાવે
ખજૂરમાં રહેલાં વિટામિન અને એન્ટિઓક્સિડેન્ટ્સ કોલાજન ઉત્પન્ન કરે છે, જે ત્વચા પર દાઝેલા ડાઘ અને સૂર્યપ્રકાશથી થતી બળતરા ઘટાડીને ત્વચાને યુવી કિરણોથી સુરક્ષિત રાખે છે, તેનાથી ત્વચા સારી રહે છે. ચમકતી અને કાંતિવાન ત્વચા મેળવવા માટે પણ ખજૂર ખાવી જોઈએ.