ખાલી પેટે અજમાનું પાણી ચરબીના થર ઘટાડે

Sunday 27th February 2022 08:37 EST
 
 

દરેક ભારતીય રસોડામાં હાથવગો રહેતો અજમો પેટ દર્દ અને ગેસ જેવી પરેશાની દૂર કરવાનો અકસીર ઉપાય ગણાય છે. આપણા પરિવારોમાં અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેંદાની બનેલી વાનગીઓમાં તેનો ઉપયોગ વધુ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી વધુ સમય લે છે, તેનાથી પેટના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે. તેથી જ મેંદો વહેલો પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન બને એ માટે અજમાનો ઉપયોગ થાય છે. આજે પણ પેટમાં દુઃખે ત્યારે દવા તરીકે પહેલાં અજમો અજમાવાય છે. પેટ દર્દ અને ગેસની સમસ્યામાં અજમો ઝડપથી રાહત આપે છે. ખાલી પેટે અજમો ખાવાથી બ્રોન્કાઇટીસ અને અસ્થમામાં રાહત મળે છે. ગોળની સાથે અજમો ખાવાથી વધુ લાભ થાય છે. અજમામાં એન્ટિસ્પેમોડિક અને કાર્મિનેટિવ હોય છે, જે અસ્થમામાં રાહત આપે છે. જે લોકોને આર્થરાઇટિસ અને સાંધાના દર્દોની ફરિયાદ રહે છે, તેમને માટે પણ અજમો ઘણો લાભકારી છે. અજમાના તેલથી માલીસ કરવાથી લાભ થાય છે. ડાયાબિટીસના દર્દી રાત્રે ગરમ દૂધમાં એક ચમચી લીમડાનો પાઉડર અને અડધી ચમચી અજમા તથા જીરુંનો પાઉડર મેળવીને ૩૦ દિવસ સુધી પીએ તો રાહત મળે છે. અઠવાડિયામાં એક કે બે વખત સવારે નરણે કોઠે અજમાનું પાણી પીવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે, મેદસ્વિતાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. અજમાનું ચૂરણ સવારે ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter