ઘાટા લીલા રંગના પાંદડાવાળાં શાકભાજી આંખો માટે વધુ ફાયદાકારક

Wednesday 15th April 2026 06:20 EDT
 
 

વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો જાણ્યે-અજાણ્યે અનેક પ્રકારના ભયનો ભોગ બને છે. આ ઓછું હોય તેમ માતાપિતા પણ અજાણતાં જ બાળકોને ખોટી માહિતી આપે છે. સાચી વાત તો એ છે કે આંખોની તંદુરસ્તીનું ધ્યાન ત્યારે જ રાખી શકાય જ્યારે તેના અંગે સાચી માહિતી હોય. ઉદાહરણ તરીકે, અનેક લોકોનું માનવું છે કે, ચશ્મા ન પહેરવા જોઈએ, આંખોને તેનાથી બ્રેક જરૂરી છે, જ્યારે હકીકતમાં આવું નથી. આ જ રીતે આંખો માટે આજે પણ ગાજરને બેસ્ટ ફૂડ કહેવાય છે. આંખોના આરોગ્ય અંગે લોકોને જાગૃત કરવા અને તેના કામ કરનારા માટે દુનિયાભરમાં માર્ચ મહિનામાં વર્લ્ડ ઓપ્ટોમેટ્રી સપ્તાહ મનાવાય છે. આ સપ્તાહ ભલે વીતી ગયું હોય, પરંતુ આવો, આજે આપણે જાણીએ આંખો સંબંધિત પાંચ મહત્ત્વના સવાલ અને તેના જવાબ. આના પરથી આપને સમજાશે કે આપણે આંખોને તંદુરસ્ત રાખવા અત્યાર સુધી જે ઉપાયો અજમાવતા રહ્યા છીએ તેનાથી ખરેખર તો આંખોને નુકસાન થવાની શંકા રહે છે.

• સવાલ-1: આંખોની કસરતથી ચશ્મા નહીં આવે?
આંખોની કસરતથી નથી દૃષ્ટિ સુધરતી કે નથી આંખની તંદુરસ્તી. ચશ્માના નંબર આવવાની સંભાવના પણ તેનાથી ઘટાડી શકાતી નથી. હકીકતમાં આંખોના તેજનો અનેક બાબતો પર આધાર હોય છે, જેમાં આઈબોલનો આકાર અને આંખોના ટિશ્યુનું તંદુરસ્ત હોવું જરૂરી છે. આંખોની કસરત ક૨વાથી તેમાં એક પણ મહત્ત્વનું પરિવર્તન લાવી શકાતું નથી.

• સવાલ-2: શું ઓછા પ્રકાશમાં પણ વાંચી શકાય છે?
જવાબ: ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોના તેજ કે તંદુરસ્તીને નુકસાન થતું નથી, પરંતુ આંખો ઝડપથી થાકી જાય છે. આથી વાંચતા સમયે પાના ૫૨ સીધો પ્રકાશ પડે એવો પ્રયાસ કરવો જોઈએ.

• સવાલ-૩: આંખો માટે સૌથી ફાયદાકારક શું છે?
જવાબઃ ગાજરમાં વિટામિન-એ હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે, પરંતુ તાજા ફળ અને ઘાટા લીલા રંગના પાંદડાવાળા શાકભાજી, જેમાં વધુ એન્ટીઓક્સિડન્ટવાળા વિટામિન જેમ કે સી અને ઈ હોય છે, તે વધુ ફાયદાકારક હોય છે. એન્ટીઓક્સિડન્ટ આંખના મોતિયા અને ઉંમરની સાથે થતી આંખની નબળાઈથી બચાવે છે.

• સવાલ-4: શું કાયમ ચશ્મા પહેરવા ઉચિત નથી?
જવાબ: જો તમારે દૂરનું જોવા કે વાંચવા માટે ચશ્માની જરૂર પડે છે તો તેનો કાયમ ઉપયોગ અવશ્ય કરો. ચશ્મા ન પહેરવાથી આંખો પર જોર વધશે અને આરામ મળવાને બદલે તે ઝડપથી થાકી જશે. સાથે સાથે જ તેનાથી આંખો સંબંધિત બીમારી કે પછી આંખોનો તેજ ઘટવા જેવું જોખમ નહીં રહે.

• સવાલ-5: મોતિયો કોને આવે છે?
જવાબઃ હકીકતમાં મોતિયો આંખના લેન્સ પર થતું ક્લાઉડિંગ છે, જે 40ની વય પછી શરીર પર જોવા મળતા સંકેતોમાંથી એક છે. જેમ-જેમ ઉંમર વધે છે, આ ક્લાઉડિંગ ઘાટું થવા લાગે છે. જો આંખોનું બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો તે કોઈને પણ થઈ શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ કે હાઇ બ્લડપ્રેશર જેવી બીમારી છે તો તેને મોતિયો આવવાનું જોખમ વધુ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter