લંડનઃ શિયાળામાં એલર્જીના કેસો 70 ટકા વધી જાય છે. આપણે એલર્જી પેદા કરતા કણોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર લોહીમાં હિસ્ટામાઇન કેમિકલ છોડે છે. આથી છીંક આવવી, આંખોમાંથી આંસુ નીકળવા, માથું દુઃખવું જેવી ફરિયાદ રહે છે. એલર્જીનું કારણ બનતા એલર્જીસ 0.3 માઇક્રોનથી લઈને 400 માઇક્રોન સુધીના હોઈ શકે છે. આ કણો બહુ બારીક હોય છે. આવા દર્દીને સારવાર તરીકે ઇમ્યૂનોથેરપી અપાય છે. કેટલીક સાવધાની, બચાવ ને ઇમ્યૂનોથેરપીથી એલર્જી ઠીક થઈ જાય છે. તમને વારંવાર છીંક આવે, આંખોમાંથી પાણી નીકળે, હોઠ, આંખ કે જીભમાં સોજો આવે, કાનમાં ખંજવાળ આવે, ઊલટી થાય, ચામડી પર ચકામા થાય, પેટમાં દુખાવો કે ઝાડા થાય તો એલર્ટ થઈ જવું કેમ કે આ એલર્જીના લક્ષણો છે.
નિષ્ણાતો કહે છે કે એલર્જી થવાના અન્ય કારણો પણ હોય છે. જેમાં પશુની રૂવાંટી, મધમાખી કે જીવડાંનું કરડવું, કોઈ ખાસ પ્રકારના ખોરાકથી, પેનિસિલિન કે એસ્પિરિન જેવી દવાઓથી કે કોઈ પ્રકારના છોડથી અને ધૂળના કણોથી પણ એલર્જી થઈ શકે છે. આવું ના થાય માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે. જેમ કે, ધૂળની સફાઈ માટે સૂકા કપડાંની જગ્યાએ થોડા ભીના કપડાંનો ઉપયોગ કરવો. કપડાંમાંથી ધૂળના કણો હટાવવા ૫૪ ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં ધોવા જોઈએ. N-95 કે FFP-2 માસ્ક 0.1થી 0.3 માઇક્રોનના કણોને પણ ફિલ્ટર કરી દે છે. આમ છતાં એલર્જીના લક્ષણો લાગે તો ડોક્ટરની સલાહ લો. લેવી જોઈએ.