ડિનર વધુ લેવાના બદલે નાસ્તો વધુ કરો, કેલરી વધુ બળશે

Friday 26th March 2021 05:25 EDT
 
 

જૂના જમાનાના લોકો તો જાણે જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ તેના પર મંજૂરીની મહોર મારી છે. આપણે ત્યાં બહુ જાણીતી ઉક્તિ છેઃ રાજા જેવો નાસ્તો કરો, મધ્યમ વર્ગ જેવું બપોરનું ભોજન કરો અને રાત્રીનું ભોજન ગરીબ જેવું લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતને જર્મનીની લુબેક યુનિવર્સિટીના સંશોધકોએ સમર્થન આપ્યું છે. સંશોધકોના મતે સાંજનું ભોજન હેવી કરવાના બદલે બમણો નાસ્તો કવરાથી શરીરની કેલરીનું વધુ બળે છે. કેલરી વધુ બળવાને કારણે વજન પણ સપ્રમાણ રહે છે અને સાથે સાથે લોહીમાં સુગરનું પ્રમાણ પણ જળવાયેલું રહે છે. તેમના અભ્યાસમાં જણાયું છે કે દિવસ દરમિયાન મેટાબોલિઝમની ક્રિયા વધુ સતેજ હોય છે તેના કારણે સવારનો નાસ્તો વધુ કરાયો હોય તો પણ તે દિવસ દરમિયાન સારી રીતે પચી જાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને ડાયેટ ઇન્ડયૂસ થર્મોજીનેસિસ (ડીઆઈટી) તરીકે ઓળખવામાં આવે છે. ડીઆઈટી શરીરને ગરમ રાખવા અને ખોરાકને પચાવવા માટે શરીરમાં જેટલી કેલરી વપરાય છે તેનો અંદાજ આપે છે. તે રાત્રીના ભોજન કરતાં સવારે નાસ્તાના સમયે બમણી હોય છે. બીજી તરફ ઓછી કેલરીનો નાસ્તો કરો તો તેના કારણે ભૂખ વધે છે. ખાસ કરીને ગળપણ માટેની ભૂખ વધે તેમ સંશોધકો ઉમેરે છે. આ અભ્યાસમાં જોડાયેલા તમામને એક દિવસ ઓછી કેલરીવાળો નાસ્તો અને વધુ કેલરીવાળું ભોજન તો બીજા દિવસે વધુ કેલરીવાળો નાસ્તો અને ઓછી કેલરીવાળું ભોજન અપાયું હતું. તેમને એ બાદ ચકાસતાં જણાયું હતું કે રાત્રે કરતાં સવારે નાસ્તો વધુ કેલરીનું લીધો હોય તો ડીઆઈટીનું પ્રમાણ અઢી ગણું ઊચું રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter