દરરોજ એક ગ્લાસ શરાબ કે બિયર કેન્સરનું જોખમ વધારે

Sunday 29th December 2019 16:17 EST
 
 

વોશિંગ્ટનઃ દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨ લાખ વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછી માત્રામાં પણ નિયમિત શરાબ પીવાથી નોંધપાત્ર રીતે કેન્સરનું જોખમ વધી જાય છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે જે લોકો જીવનમાં ક્યારેય શરાબ પીતા નથી તેમને કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના સૌથી ઓછી હોય છે. પાંચ વર્ષ સુધી દરરોજના બે ડ્રિન્કસ લેવાથી પણ કેન્સર થવાનું જોખમ એટલું જ હોય છે જેટલું જોખમ એક દાયકા સુધી એક ડ્રિન્કસ શરાબ પીવાથી હોય છે. એક ડ્રિન્ક એટલે ૧૮૦ મિલિલિટર શરાબ અથવા ૫૦૦ એમએલ બિયર.
ટોક્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હોસ્પિટલના ૬૩,૨૩૨ દર્દીઓના ડેટાની સરખામણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આલ્કોહોલ અને કેન્સર વચ્ચે લગભગ સરખો સંબંધ છે. મતલબ કે શરાબ પીવાનું વધે એમ કેન્સરનું જોખમ પણ વધે છે. શરાબને કારણે મોં, ગળા અને ગરદનના કેન્સર ઉપરાંત મહિલાઓમાં સ્તન કેન્સર વકરી શકે છે. આ અભ્યાસના લેખક ડો. માસાયોશી ઝૈત્સુ કહે છે કે પૂર્વ એશિયાનાં લોકોમાં આ અભ્યાસના તારણ જુદાં છે કેમ કે તેની વચ્ચે જનીનનો ભેદ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શરાબના સુરક્ષિત સેવન માટે કોઈ માપ નથી. આથી તેને પીવાનું ટાળો તે જ તમારા સ્વાસ્થ્યના હિતમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter