બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે
સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે. આ કોઈ ધ્યાનના મહિમાની વાત નથી, પરંતુ વાસ્તવિકતા છે. મગજમાં નવું શીખવાં અને યાદ રાખવા માટેના મહત્ત્વપૂર્ણ હિસ્સા હિપ્પોકેમ્પસમાં માપી શકાય તેવું ન્યૂરોજિનેસિસ છે. સંશોધકોને જણાયું છે કે કોઈ પ્રકારના અવાજો કે ખલેલથી મુક્ત મગજ એવી વિશિષ્ટ અવસ્થામાં પ્રવેશે છે જ્યાં તે બધું સાજુંસમું કરી શકે, રિઓર્ગેનાઈઝ થઈ શકે અને ન્યૂરલ પાથવેઝને વિસ્તારી પણ શકે છે. મૌન આપણા મગજ માટે ‘રિસેટ’ બટન જેવું બને છે તેમજ એક સાથે એકાગ્રતા, સર્જનાત્મકતા અને સંવેદનાત્મક સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવે છે. માનવી અને પ્રાણીઓ પર કરાયેલા પ્રયોગોમાં મૌનના સમયગાળાને યાદશક્તિમાં સુધારા, સમસ્યાઓના ઝડપી ઉકેલ અને તણાવના ઘટેલાં સ્તર સાથે સાંકળવામાં આવ્યા હતા. સતત નોટિફેકેશન્સ, ઉત્તેજના અને ચટરપટરના આ વિશ્વમાં બે કલાકનું ખલેલરહિત મૌન મગજ માટે સુપરફૂડ બની રહે છે. કોઈ જ સ્ક્રીન (મોબાઈલ કે ટીવી), સંગીત અને ખલેલ વિના નિરુદ્દેશ અને શાંતિ સાથે બેસી રહેવાથી મગજનો બહેતર વિકાસ થાય છે અને તેની તીક્ષ્ણતામાં પણ વધારો થાય છે. કશું નહિ કરવું પણ લાભદાયી બની રહે છે.
•••
મગજ વગરના પ્રાણીઓ પણ વિચારી શકે ખરાં?
સજીવ પ્રાણીઓમાં માનવીનું મગજ નાનું હોવાં છતાં વિચાર અને સંવેદનાની લાક્ષણિકતા ધરાવે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે મગજ વિનાના પ્રાણીઓ વિચારી શકે છે ખરાં? સી સ્ટાર, જેલી ફિશ, સી અર્ચિન્સ કે સી એનેમોન્સ જેવા દરિયાઈ પ્રાણીઓમાં મગજ હોતાં નથી, પરંતુ તેઓ અનુભવોને યાદ રાખી શીખતાં રહે છે તેમજ શિકારને ઝડપી લે છે, જોખમને અનુભવી શકે છે અને આસપાસના વાતાવરણ સંદર્ભે રીએક્શન્સ પણ આપે છે. આપણે ભલે એમ કહેતા હોઈએ કે વિચાર મગજના જન્મે છે કે આકાર લે છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. વિચાર એ માત્ર માહિતીનું પ્રોસેસિંગ છે. જર્મનીમાં કિવ યુનિવર્સિટીના ન્યૂરોબાયોલોજિસ્ટ જાન બિલેસ્કીની ટીમના અભ્યાસમાં જણાયું હતું કે જેલીફિશ વસ્તુ કે ઓબ્જેક્ટ્સ સાથે અથડાવાની શારીરિક સંવેદનાને દૃષ્ટિસંકેતો સાથે પારખી શકે છે જેના કારણે આસપાસના અવરોધો વચ્ચેથી સરળતાથી પસાર થઈ શકે છે. ન્યૂરોબાયોલોજિસ્ટ્સ જણાવે છે કે પ્રાણીમાં મગજ ના હોય તેનો અર્થ એ નથી કે તેમનામાં ન્યૂરોન્સનો અભાવ છે. જેલીફિશ અને હાઈડ્રા જેવા સજીવો તેમના શરીર અને પાતળી સૂંઢ જેવા સ્પર્શતંતુઓમાં અરસપરસ સંકળાયેલા ન્યૂરોન્સના જાળાંનું નેટવર્ક ધરાવે છે. આ ન્યૂરોન્સ સંવેદનાત્મક માહિતીનું પ્રોસેસિંગ કરી સુગઠિત મોટર રિસ્પોન્સીસ આપે છે. આમ, સજીવોમાં રહેલી સાદી વ્યવસ્થા કે ગોઠવણીના કારણે તેઓ મગજ વિના પણ તરવાની, ખાવાની, સંકોચાવાની અને ડંખ મારવા કે કરડવા જેવી પ્રક્રિયા સરળતાથી કરી શકે છે.
•••


