બ્લડ સુગરનું ઊંચું સ્તર મહિલાઓમાં હૃદયરોગનું જોખમ વધારે
બિનઆરોગ્યપ્રદ આહારના કારણે બ્લડ સુગરના ઊંચા સ્તરથી મહિલાઓમાં હૃદયરોગનું જોખમ 50 ટકા અને પુરુષોમાં 30 ટકા જેટલું વધી શકે છે. બ્લડ સુગર અને હૃદયરોગ વચ્ચે કડીનો અભ્યાસ કરી રહેલા સંશોધકો કહે છે કે બ્લડ સુગરનું સ્તર જેટલું નીચું હોય તેટલું સારું ગણાય. ડાયાબિટીસ નહિ ધરાવતા લોકો પણ આહારની સમતુલાથી તેમની રક્તશર્કરાનું પ્રમાણ નીચું રાખી શકે છે. યુકેમાં ડાયાબિટીસથી પીડાતા પાંચ મિલિયન લોકોમાંથી 90 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકો દ્વારા યુકેના 427,435 લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. નોર્મલ બ્લડ સુગર હોય તેમની સાથે સરખામણી કરાય ત્યારે સૌથી ઓછું સુગર સ્તર ધરાવતા ડાયાબિટીક્સને હૃદયરોગનું જોખમ 10 ટકા ઓછું રહે છે. પુરુષો અને સ્ત્રીઓમાં હૃદયરોગના પ્રમાણમાં તફાવતનું કારણ એ છે કે સ્ત્રીઓને હૃદયરોગનું જોખમ ઘટાડતી સ્ટેટિન્સ જેવી દવાઓ ઓછી પ્રીસ્ક્રાઈબ કરાતી હોય છે.
રાત્રે હાથમાં સ્માર્ટફોન નહિ, આવું સાધન રાખો
જો તમે અનિદ્રાની સમસ્યાથી પીડાતા હો અને તમે નિયમિતપણે સ્લીપિંગ પિલ્સ લેતા હોય તો એક વાત સમજવી જરૂરી છે કે આ કોઈ લાંબા ગાળાનું સ્માર્ટ સોલ્યુશન નથી. હકીકત એ છે કે સ્લીપિંગ પિલ્સથી મૃત્યુનું જોખમ 4.6 ગણું વધી જાય છે અને તેનાથી તમારી ઊંઘની ગુણવત્તામાં જરા પણ સુધારો થતો નથી. હવે સ્લીપિંગ પિલ્સના બદલે તમારા હાથમાં રાખીને સૂઈ જવાય તેવા સાધન કે ઉપકરણો બજારમાં આવી ગયા છે જેનાથી ગણતરીની મિનિટોમાં તમને ઊંઘ આવી જાય તેમ કહેવાય છે. વાસ્તવમાં આ ઉપકરણ ઓછી તીવ્રતાના ઈલેક્ટ્રોનિક તરંગો મોકલે છે જેનાથી મગજ શાંત થાય છે અને માતાના હાલરડાંની માફક તમને નિદ્રાદેવીના ખોળે સુવાડી દે છે. જો તમને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય અથવા અડધી રાત્રે વારંવાર જાગી જવાતું હોય તો આવું સાધન તમારા માટે આશીર્વાદ બની શકે છે અને તમારે રાત્રે સ્માર્ટફોન પકડી રાખવાની નોબત આવતી નથી.