નિયમિત કસરત તંદુરસ્તીની પ્રથમ ચાવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, નિયમિત કસરત શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં સુધારો કરે છે. સાથે સાથે જ તે વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી બીમાર પડવાનું જોખમ ઘટે છે. હાડકાં અને માંસપેશી પણ મજબૂત થાય છે. મધ્યમથી તેજ ગતિની કસરતના એક સેશન માત્રથી મગજ પર સીધી અસર જોવા મળે છે. આજે જાણીએ નિયમિત કસરતથી શરીર અને મન પર થતી અસર વિશે.
શરીર અને મગજ બન્ને કઇ રીતે તંદુરસ્ત બને છે?
10 મિનિટ પછી...
હાર્ટ રેટ વધવા લાગે છે. મગજમાં લોહીનો પુરવઠો વધે છે. એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે, જે દુઃખાવાના સંકેતો ઘટાડે છે. શરીર વિવિધ એનર્જી સિસ્ટમનો ઉપયોગ શરૂ કરે છે.
એક કલાક પછી...
ધબકારા, શ્વાસની ગતિ, બ્લડ ફ્લો આ બધું ધીમું પડે છે, જ્યારે પાચન, મેટાબોલિઝમ સુધરે છે. આથી કસરત પછી કાયમ પૌષ્ટિક ભોજન કરવું જોઈએ.
એક દિવસ પછી...
માંસપેશિઓ થોડી ચુસ્ત થાય છે, જેમાં થોડો દુઃખાવો થાય છે, જેને ડિલેડ ઓનસેટ મસલ્સ સોરનેસ (ડીઓએમએસ) કહે છે. તેનાથી ડરવું નહીં. આ સુધારાનો સંકેત છે.
એક સપ્તાહ પછી...
શરીરને ઊર્જા આપતા માઈટોકાન્ડ્રિયા અનેકગણા વધે છે. ઊંઘ અને આત્મવિશ્વાસમાં સુધારો થાય છે. એંગ્ઝાયટી અને ડિપ્રેશનના લક્ષણ ઘટે છે.
બે સપ્તાહ પછી...
બે સપ્તાહ પછી નિયમિત કસરતની અસર શરીર પર સ્પષ્ટ દેખાય છે. જો વજન ઘટાડવાનું લક્ષ્ય છે અને ડાયેટ ફોલો કરો છો તો વજનમાં ઘટાડો દેખાવા લાગશે. કસરતની ટેવ પડી જાય છે.
6 મહિના પછી...
ક્ષમતા અને તાકાત બંને વધે છે, હૃદય મજબુત થાય છે. ખુદને ચેલેન્જ આપવા લાગો છો, બ્લડપ્રેશર નિયંત્રણમાં આવે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
એક મહિના પછી...
વ્યક્તિની શારીરિક રચના, કસરતની ઇન્ટેન્સિટીના આધારે દરેક વ્યક્તિ પર અલગ અસર થાય છે. કુલ મળીને શારીરિક અને માનસિક તંદુરસ્તી સુધરવા લાગે છે.
એક વર્ષ પછી...
હાડકાં મજબૂત અને નક્કર બને છે. તેનું તૂટવાનું જોખમ ઘટી જાય છે. તણાવ એંગ્ઝાયટી અને ડિપ્રેશનના લક્ષણ ઘટે છે. ઈમ્યુનિટી મજબૂત થાય છે. યાદશક્તિ અને મગજ તેજ બને છે.