માનવશરીરમાં નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ

વાત વિજ્ઞાનની...

Sunday 24th May 2026 07:45 EDT
 
 

માનવશરીરમાં નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ
આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવશરીરમાં તદ્દન નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ કરી છે જે RNA (રિબો ન્યુક્લિઅક એસિડ) આધારિત છે. મૂળ અને હેતુ હજુ જાણી શકાયા નથી તેવા આ વિચિત્ર સ્વરૂપોને ‘ઓબેલિસ્ક્સ’ (obelisks) નામ અપાયું છે. આપણે બેક્ટેરિયા, વાઈરસ અથવા ફૂગ વિશે જાણીએ છીએ તેનાથી વિપરીત ‘ઓબેલિસ્ક્સ’ જીવનની કોઈ કેટેગરીમાં બંધબેસતા નથી. શરીરની જિનેટિક માહિતી ધરાવતા RNA અણુઓ-મોલેક્યૂલથી બનેલા હોવાં છતાં, તેઓ પરંપરાગત વાઈરસીસ જેવું વર્તન કરતા નથી. શરીરમાં રહીને વધતા જાય છે, અસ્તિત્વ જાળવે છે અને વિસ્તરતા રહે છે, પરંતુ આરોગ્ય અથવા રોગ સાથે સ્પષ્ટપણે સંકળાયેલા નથી. સંશોધકોને અત્યાર સુધી હજારો લોકોના મુખ અને આંતરડામાં વિચિત્ર અને સળિયા જેવાં જિનેટિક માળખા ‘ઓબેલિસ્ક્સ’ જોવા મળ્યા છે જેમના જેવું કુદરતમાં હજુ સુધી જોવાં મળ્યું નથી. કેટલાક વિજ્ઞાની માને છે કે ‘ઓબેલિસ્ક્સ’ જીવનની સંપૂર્ણ નવી શાખા છે, જે સદીઓથી માનવશરીરમાં ઓળખાયા વિના વિસ્તરતી રહી છે. કેટલાકનો મત એવો છે કે તેઓ આપણું શરીર કેવી રીતે કામગીરી બજાવે છે તેને પ્રભાવિત કરતા હોઈ શકે જેના વિશે આપણે કશું જ જાણતા નથી. જો ‘ઓબેલિસ્ક્સ’ ઈમ્યુનિચી, મેટાબોલિઝમ અથવા રોગોના સંદર્ભમાં ભૂમિકા ભજવતાં હોવાનું જાણી શકાશે તો અસંખ્ય કંડિશન્સના નિદાન અને ઉપચારમાં ભારે પરિવર્તન આવી શકે છે.

•••
કડકડતી ઠંડીમાં શરીર શા માટે ધ્રૂજે છે
આજકાલ ઋતુઓના કોઈ ઠેકાણાં હોતાં નથી. ક્લાઈમેટ ચેઈન્જના કારણે શિયાળો બરાબર જામતો નથી તો ચોમાસામાં ગરમી લાગે છે. આવી પરિસ્થિતિમાં કડકડતી ઠંડીમાં શરીર શા માટે ધ્રૂજે છે તેના વિશે કોણ જાણી શકે? ઠંડીનો સામનો કરવા તમે ઘણું કરી શકો છે, ગરમ વસ્ત્રો ચડાવી લો છો અને ગરમી લાવવા થોડી કસરત પણ કરી શકો છો. આમ છતાં, ઠંડીથી શરીરને ધ્રૂજતું અટકાવવાનું તમારા કાબુ બહારનું છે. તમને જ્યારે ધ્રૂજારી આવે ત્યારે શરીર આપમેળે તાપમાનનું નિયમન કરવા લાગી જાય છે. દાંત કડકડવા લાગે તેવી ધ્રૂજારી સમયે તમારા સ્નાયુઓને આંચકા લાગે છે, ટુંકા સમયમાં જડબા સહિતના સ્નાયુઓ ખેંચાય છે અને હળવા થાય છે. આપણું મગજ સતત શરીરનું મોનિટરિંગ કરે છે અને બેક્ટેરિયલ કે વાઈરલ ઈન્ફેક્શન લાગ્યું હોય, ગભરામણના હુમલાઓ થતા હોય, બ્લડ સુગર ઘટી ગઈ હોય, શરીરમાં ડ્રગ્સનું પ્રમાણ ઓછું થાય અથવા જનરલ એનેસ્થેસિયામાંથી બહાર આવતા હો ત્યારે શરીર ઠંડુ પડતાં જ આવી પ્રતિક્રિયા મગજ કરે છે. જો શરીરમાં ધ્રૂજારી ના ઉપડે તો શરીરમાં ઉત્પન્ન થતી ગરમી કરતા વધુ ઝડપે ગરમી ગુમાવાય તેવી સ્થિતમાં પહોંચે છે જેને હાઈપોથર્મીઆ (Hypothermia) કહેવાય છે.
સામાન્યપણે શરીરનું ઉષ્ણતામાન આશરે 37 ડીગ્રી સેલ્સિયસ જેટલું રહે છે અને હાઈપોથર્મીઆ 35 ડીગ્રી સેલ્સિયસે થાય છે. આમ, શરીરમાં
ધ્રૂજારી આવવી તે મુખ્યત્વે કુદરતી જીવનરક્ષક રિસ્પોન્સ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter