નવી દિલ્હી: મૃત્યુ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે. જેવા કે, શ્વાસ અસંતુલિત થવો, હૃદયના ધબકારા ધીમા પડવા તેમજ શરીર ઠંડુ પડવું, પણ આ શારીરિક લક્ષણો પાછળ મગજમાં જે ચાલી રહ્યું હોય છે, તેને સમજવાની જિજ્ઞાસા લાંબા સમયથી ચાલી રહી છે. આ સંશોધન આપણી ધારણા બદલવા ઉપરાંત અંગદાન જેવા મહત્વના વિષયો વિશે નવેસરથી ચર્ચા છેડી શકે છે.
તાજેતરમાં કરાયેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાયું છે કે મૃત્યુના સમયે મગજ સંપૂર્ણપણે બંધ નથી થતું. એક રિપોર્ટ અનુસાર મોતાના થોડા સમય પહેલાં જ મસ્તિષ્કમાં ગામા ઓસિલેશન નામના મગજના તરંગો વધી જાય છે. આ એ જ તરંગો છે જે સ્વપ્ન જોવા, ધ્યાન લગાવવા તેમજ જૂની યાદો દોહરાવવા સાથે સંકળાયેલા હોય છે. એ જ કારણે અનેક લોકોને જીવનની મહત્વપૂર્ણ પળો ફ્લેશબેકની જેમ દેખાવા લાગે છે, જેને નિયર-ડેથ એક્સપીરિયન્સ કહેવામાં આવે છે. આ નિષ્કર્ષ કાર્ડિયાક અરેસ્ટના દર્દીઓ પર કરેલા રિસર્ચથી સામે આવ્યો છે.
વિજ્ઞાનીઓના મતે, મોતના સમયે મગજ લાઈફ રિકોલ અવસ્થામાં ચાલ્યું જાય છે, જ્યાં જીવનની મહત્વની યાદો દોહરાવવામાં આવે છે. 2023માં પ્રકાશિત એક અભ્યાસમાં પણ દાવો કરાયો હતો કે હૃદય બંધ થયા પછી પણ કેટલોક સમય મગજ અત્યાધિક સક્રિય રહે છે. આ રિસર્ચની આગેવાની અમેરિકાની લુઈસવિલ યુનિવર્સિટીના ન્યૂરોસર્જન ડો. અજમલ જેમ્મારે કરી હતી. એક 87 વર્ષીય દર્દીના ઈઈજી ડેટાથી જાણ થઈ કે હૃદયના ધબકારા બંધ થવા અગાઉ અને પછી લગભગ 30 સેકન્ડ સુધી મસ્તિષ્કમાં ગામા, થીટા, આલ્ફા અને બીટા જેવા મગજના તરંગો સક્રિય રહ્યા હતા, જે વિચારશક્તિ અને યાદો સાથે સંકળાયેલા હોય છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મોતની નજીક મગજ એન્ડોર્ફિન જેવા ન્યુરોકેમિકલ્સ છોડે છે, જે ભય અને દર્દ ઓછું કરવાનું કામ કરે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો અંતિમ પળોમાં શાંતિ અને સૌમ્યતા મહેસૂસ કરવાની વાત કરતા હોય છે.


