યાદશક્તિને અસરકર્તા કેટલાક પરિબળ

ઓછું સંભળાવું પણ નબળી યાદશક્તિનું એક કારણ છે

Tuesday 30th June 2026 11:50 EDT
 
 

અચાનક કોઈનું નામ ભૂલી જવું કે પછી ફોન, ચાવી, ચશ્મા અને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ કોઇ જગ્યાએ મૂકીને ભૂલી જવું એક સામાન્ય સમસ્યા છે. આમ બનવા માટે અનેક કારણ જવાબદાર હોઈ શકે છે, પરંતુ કેટલીક બાબતે આ સમસ્યા ખતરનાક હોઈ શકે છે. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીના ઈરવિન મેડિકલ સેન્ટરની ન્યૂરોસાઈકોલોજિસ્ટ એલિસ કૈકાપાલાના અનુસાર તમે જ્યારે આવા રોજિંદા કામ ભૂલવા લાગો કે જેને તમે લાંબા સમયથી કરતા રહ્યા છો તો તે મગજ સંબંધિત ગંભીર બીમારીનો પ્રાથમિક સંકેત હોઈ શકે છે.

• ડિપ્રેશન અને એંગ્ઝાયટી: સતત તણાવની સ્થિતિમાં શરીર એવા હોર્મોન રિલીઝ કરે છે, જે કોશિકાઓનો નાશ કરે છે. મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતાને અસર થાય છે, પરિણામે યાદશક્તિમાં ઘટાડો થાય છે.
• ઓછી ઊંઘઃ જર્નલ ‘સ્લીપ મેડિસિન’ના અભ્યાસમાં જોવા મળ્યું છે કે, જે લોકોની ઊંઘ રાત્રે સતત તુટે છે, ઓછી ઊંઘ કરે છે તેમના એટેન્શન, વર્કિંગ મેમરી અને મગજની કાર્યપદ્ધતિમાં નોંધનીય ઘટાડો થાય છે.
• સાંભળવાની સમસ્યા: વ્યક્તિને ઓછું સંભળાતું હોય છે તેવી સ્થિતિમાં તેના મગજને વધુ સાંભળવા માટે અને વાતને સમજવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેના લીધે યાદશક્તિને વિપરિત અસર થાય છે.
• મલ્ટિટાસ્કિંગઃ ‘નેચર’ મેગેઝિનના રિપોર્ટ અનુસાર એવા યુવાનો જેઓ કોઇ કામ કરવા માટે મલ્ટીટાસ્કિંગ એટલે કે એક સાથે અનેક ડિવાઈસનો ઉપયોગ કરે છે, તેમનામાં ધ્યાન કેન્દ્રીત કરવાની અને નવી વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા ઓછી દેખાઈ છે.
• કેટલીક દવાઓઃ એંગ્ઝાયટી, કોલેસ્ટ્રોલ, દુખાવો, બ્લડપ્રેશર, દુઃખાવો, ઊંઘ સંબંધિત દવાઓ અને કેટલાક પ્રકારનો નશો મગજના ન્યૂરોટ્રાન્સમિટર્સને બ્લોક કરે છે. સાથે જ મગજનું પ્રોસેસિંગ ધીમું પાડે છે. આનાથી પણ યાદશક્તિ પર વિપરિત અસર થાય છે.
• પોષણની ઊણપઃ અલગ અલગ મેડિકલ રિસર્ચના તારણો જણાવે છે કે, ભોજનમાં પોષણની ઉણપથી ન્યૂરોન્સને નુકસાન પહોંચે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ગ્રીન ટી અને ટામેટામાં મળતા ફ્લેવોનોઇડ્સ મગજની ક્ષમતા વધારે છે.

ભૂલવામાં સામાન્ય શું છે? અને અસમાન્ય શું છે?
આ પ્રકારની વાતને તમે સામાન્ય ગણી શકો. આવું કોઇ પણ વ્યક્તિ સાથે બની શકે છે. જેમ કે, • કોઇ નામ ભૂલી ગયા પછી તે યાદ આવવું • બોલતા સમયે કેટલાક શબ્દો ભૂલી જવા • રસ્તો ભૂલી જવો, પરંતુ ગૂગલ કે જીપીએસથી શોધી કાઢવો વગેરે.
... પરંતુ કેટલીક બાબતો એવી છે કે તેનું પુનરાવર્તન તમને યાદશક્તિ સંબંધિત ગંભીર સમસ્યાના સંકેત આપે છે. આવા સંજોગો સર્જાય ત્યારે ડોક્ટરનો સંપર્ક સાધવાનું જરૂરી બની જાય છે. જેમ કે, • કોઇ પરિચિતને જ સાવ ભૂલી જવું • વાતચીત કરવામાં મુશ્કેલીનો અનુભવ થવો કે પછી • પોતાના ઘરે જવાનું જ ભૂલી જવું વગેરે વગેરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter