વર્ક ફ્રોમ હોમ કલ્ચરે લોકોની કરોડરજ્જુ નબળી પાડી

Wednesday 01st December 2021 07:15 EST
 
 

કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે તે સાચું, પણ તેનાથી લોકોની કરોડરજ્જુને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે તે પણ વરવી વાસ્તવિક્તા છે. પીએમસી લેબનું એક રિસર્ચ કહે છે કે, કોવિડ-૧૯ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરનાર ૪૧.૨ ટકા લોકોમાં પીઠ દર્દ અને ૨૩.૫ ટકા લોકોમાં ગરદનના દર્દની ફરિયાદ જોવા મળી હતી. અલબત્ત, કામ માટે બેઠા પછી જો દર કલાકે ૬ મિનિટ માટે વોક કરવામાં આવે તો તેનાથી કરોડરજ્જુને થતાં નુકસાનથી બચી શકાય છે. આ સિવાય દરરોજ ચાઇલ્ડ પોઝ, કેટ અને કાઉ પોઝ જેવા યોગાસનો પણ મદદરૂપ થાય છે. છતાં પણ જો કરોડરજ્જૂમાં દર્દની ફરિયાદ રહેતી હોય તો ડોકટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થનું સંશોધન જણાવે છે કે કરોડરજ્જુમાં થતી તકલીફની વ્યક્તિ પર શારીરિક અને ભાવનાત્મક એમ બંને રીતે અસર પડે છે. સતત બેસી રહેતાં લોકોમાં પીઠ દર્દની ફરિયાદ, નબળા સ્નાયુઓ, ગરદન અને ખંભામાં દર્દ વગેરે તકલીફો જોવા મળે છે. આ સિવાય મૂવમેન્ટના અભાવે મગજમાં પહોંચતું લોહી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા વિચારવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. સ્પાઇન ડિસીઝ થવાના મુખ્યત્વે ત્રણ કારણો છે.
લાંબા સમય સુધી લોહીના પ્રવાહમાં અવરોધ સર્જાવો, ખરાબ રીતે બેસવાના કારણે કરોડરજ્જુ, લિગામેન્ટ અને ગાદી પર તણાવ વધે છે જેનાથી પીઠ, ગરદનમાં દુખાવો થાય છે. આ ઉપરાંત મોબાઇલ એડિક્શનના કારણે પણ કરોડરજ્જુ પર ખેંચાણ અનુભવાય છે અને તેની ગાદી સંકુચિત થાય છે. કરોડરજ્જુને મજબૂત કરવા માટે પેટ અને પીઠના સ્નાયુઓ મજબૂત હોય તે બહુ જરૂરી છે. આ સ્નાયુઓ સ્પાઇનને સંતુલિત અને શક્તિશાળી બનાવે છે. આ માટે નિયમિત એક્સસાઇઝ અને યોગાસન બહુ ફાયદાકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter