નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં ઘણા બધા લોકો રસી લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અદાર પૂનાવાલાએ આવા અનેક સવાલનો જવાબ આપ્યો છે. એસ્ટ્રોજેનેકા-ઓક્સફર્ડની વેક્સિનનું ભારતમાં ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયાના સીઈઓ પૂનાવાલાએ કહ્યું છે કે, હું અમારી વેક્સિનને કોવિશીલ્ડ કહું છું કારણ કે, આ એક પ્રકારનું શીલ્ડ છે. તે તમને બીમારીથી તો બચાવશે જ, પરંતુ તેના કારણે તમારું મૃત્યુ પણ નહીં થાય. આ રસી તમને ગંભીર બીમારીથી બચાવે છે અને ૯૫ ટકા કેસમાં તેનો એક જ ડોઝ તમને હોસ્પિટલમાંથી પણ મુક્તિ અપાવશે. બુલેટપ્રૂફ જેકેટ પણ આવું જ હોય છે. તે પહેર્યા પછી ગોળી વાગે ત્યારે તમે મરતા નથી, પરંતુ તમને સામાન્ય ઈજા થાય છે. જાન્યુઆરીથી અત્યાર સુધી અમે આશરે ચાર કરોડ લોકોને રસીનો એક ડોઝ આપી ચૂક્યા છીએ. હવે આપણે એ જોવાનું છે કે, શું તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. પૂનાવાલાએ કહ્યું કે, હું કે બીજી કોઈ વેક્સિન કંપનીએ આજ સુધી એવો દાવો નથી કર્યો કે, વેક્સિન તમને બિમારી જ નહીં થવા દે.