શ્રાવણ મહિનાનું આગમન એટલે વ્રત-ઉપવાસ-એકટાણાંની સીઝન. અનેક શિવભક્તો આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરતા હોય છે. અને ઉપવાસ-એકટાણાં દરમિયાન બટાકા-શક્કરિયા જેવા કંદમૂળ પછી સૌથી વધુ ખવાતી કોઇ વસ્તુ હોય તો તે છે સાબુદાણા.
સાબુદાણા સ્ટાર્ચનો સમૃદ્ધ સ્ત્રોત છે તેનાથી શરીરને તુરંત એનર્જી મળે છે. સાબુદાણામાં ફેટ ખૂબ ઓછી હોય છે. સાબુદાણાથી ફાઈબર પણ મળે છે. ખનીજની વાત કરીએ તો સાબુદાણામાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ હોય છે. સાબુદાણા શરીરને તુરંત એનર્જી આપે છે તેથી તેને વ્રતમાં ખાવા માટે ઉત્તમ ગણવામાં આવે છે. તેનું પાચન પણ સરળતાથી થાય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે સાબુદાણામાં ફાઈબર અને પ્રોટીન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.
સાબુદાણા એવા લોકો માટે બેસ્ટ આહાર છે જેમને શરીરમાં શક્તિની જરૂર હોય. સાબુદાણા બાળકો માટે પણ પૌષ્ટિક આહાર છે. સાબુદાણા વ્રતમાં ખાવા પણ લાભકારી છે. સાબુદાણાનું પાચન સરળતાથી થાય છે તેથી નાના બાળકોને આપવા માટે આ ઉત્તમ આહાર છે. તેનાથી બાળકનું વજન વધારવામાં પણ મદદ મળી શકે છે. સાબુદાણા એવા લોકો માટે પણ સારો આહાર છે જેઓ બીમાર હોય અથવા સર્જરી કરાવી હોય. સાબુદાણા ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક આહાર છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય અથવા પેટની ગરમી વધારે હોય તેઓ પણ સાબુદાણા ખાઈ શકે છે. તેનાથી પેટને ઠંડક મળે છે.
આ વાત થઇ સાબુદાણાના ગુણોની... પણ આ જ સાબુદાણા અમુક લોકો વર્જ્ય છે. મતલબ કે અહીં નીચે જણાવેલી કોઇ તકલીફ કે સમસ્યા હોય તેમણે સાબુદાણા ન ખાવા જોઇએ કે ઓછા ખાવા જોઇએ કે જરૂર પડ્યે પોતાના જીપીને પૂછ્યા પછી જ આરોગવા જોઇએ.
સાબુદાણા કોણે ન ખાવા?
• સાબુદાણામાં સ્ટાર્ચ અને કાર્બ્સ વધારે હોય છે, જે બ્લડ શુગર ઝડપથી વધારે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે સાબુદાણા ખાવા નહીં.
• સાબુદાણામાં કેલેરી વધારે હોય છે અને ફાઈબર તેમજ પ્રોટીન ઓછા હોય છે. તેથી જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ.
• સાબુદાણામાં ફાઈબરની ખામી હોય છે. જે લોકોને પેટમાં બ્લોટિંગ, ગેસ અને કબજિયાતની ફરિયાદ હોય તેમણે પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ.
• સાબુદાણા ખાવા હાર્ટ પેશન્ટ અથવા હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાટે પણ હાનિકારક છે.
• કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે પણ સાબુદાણા ખાવાથી બચવું.


