સાંભળવામાં સમસ્યાનો સમયસર ઇલાજ જરૂરી

Wednesday 21st May 2025 08:53 EDT
 
 

વયના વધવાની સાથે સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થવો સામાન્ય બાબત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના અહેવાલ અનુસાર 60 વર્ષથી વધુની ઉંમરની 50 ટકા વસતીને સાંભળવામાં મુશ્કેલી છે. આ સમસ્યા ભલે સામાન્ય ગણાતી હોય, પરંતુ તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો વૃદ્ધોને એકલવાયાપણું અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ડોક્ટરની સલાહ પર હિયરિંગ એઇડ પણ મદદરૂપ થઈ શકે છે. સાથે સાથે જ પરિવારજનો પણ ઓછું સાંભળતા વૃદ્ધો સાથે વાત કરતી વેળા કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખે તો તેમને સાંભળવામાં તેમજ વાતચીત કરવામાં સરળતા રહેશે. હકીકતમાં વૃદ્ધાવસ્થામાં સાંભળવાની સમસ્યાને પ્રેસબિક્યુસિસ કહે છે. જેમાં હાઈ પિચના અવાજો સાંભળવા અને વાતચીતને સમજવામાં ઘટાડો થાય છે.
વધતી વયે સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થવા માટે એક કરતાં વધુ કારણો જવાબદારો છે. જેમ કે, કાનમાં લોહીનો પ્રવાહ ઘટવો, ઊંચા અવાજનો વધુ પડતો સંપર્ક, ડાયાબિટીસ, બીપી જેવી બીમારીઓ ઉપરાંત કેટલીક દવાઓ પણ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. ક્યા કારણથી વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થયો છે તેનું સાચું કારણ જાણવા માટે હિયરીંગ એક્સપર્ટ કે ઇએનટી (આંખ-કાન-ગળા) નિષ્ણાતને કન્સલ્ટ કરો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સાંભળવાની ક્ષમતાને આ રીતે ચકાસો
• ઘોંઘાટની વચ્ચે વાતચીત સમજવામાં મુશ્કેલી. હાઈ પિચના અક્ષર જેમકે ‘સ’, ‘ફ’ અને ‘થ’ સાંભળવામાં મુશ્કેલી.
• ટીવી, રેડિયો કે ફોનનો અવાજ વધારે મોટો રાખવાની જરૂર વર્તાય. સામાજિક મુલાકાતોથી બચવાનો પ્રયાસ.
• કાનમાં સીટી વાગવી. સાંભળવા માટેના પ્રયાસથી શારીરિક, માનસિક થાક અનુભવવો.
શ્રવણક્ષમતાને સાજી-સારી કઈ રીતે રાખી શકાય?
હિયરીંગ એક્સપર્ટથી લઇને ઇએનટી એક્સપર્ટ કહે છે કે નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો કાન સાજાસારા રહેશે, સાંભળવાની ક્ષમતાને જાળવી શકશો.
• મોટા અવાજથી બચો: વધુ પડતો ઘોંઘાટ વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. ઘોંઘાટભર્યા વાતાવરણમાં લાંબો સમય રહેવાનું હોય તો ઈયરપ્લગ અવશ્ય પહેરો. 80 ડેસિબલથી વધુના અવાજથી હંમેશા બચો.
• કાન કોરા રાખો: વધુ ભેજથી કાનમાં ઇન્ફેક્શન લાગી શકે છે. ચેપના કારણે પણ સાંભળવામાં ઘટાડો થઈ શકે છે. આ સ્થિત ટાળવા માટે દરરોજ સ્નાન કર્યા પછી માથાને વારાફરતી બન્ને તરફ ઝુકાવો અને કાનની બુટી ખેંચીને પાણી બહાર કાઢો.
• ધુમ્રપાન ન કરો: નિકોટીન (તમાકુ) શ્રવણ તંત્રિકાથી મસ્તિષ્ક સુધી સંદેશો લઈ જતા ન્યૂરોટ્રાન્સમીટરને પ્રભાવિત કરી શકે છે. આથી સ્મોકિંગ ટાળો.
• ધ્વનિ પર ધ્યાન કેન્દ્રીત કરોઃ વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને સારી રીતે ચકાસવા માટે ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેમને ઓળખો.
પરિવારજનોએ કઇ વાતની કાળજી રાખવી જોઇએ?
સાંભળવામાં સમસ્યાનો સામનો કરી રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરતી વેળા પરિવારજનોએ પણ વિશેષ કાળજી રહી. જેમ કે,
• સામે રહીને વાત કરો: આમ કરવાથી તમારા ચહેરાના હાવ-ભાવ, હાથના ઈશારા અને હોઠના હલનચલનથી સંવાદ સરળ બને છે, વાતચીતમાં મદદ મળે છે. બોલવાની ઝડપ થોડીક ઓછી રાખો જેથી તેમને વાત કે વાક્ય સમજવાનું સહેલું પડે.
• ધ્યાન આકર્ષિત કરોઃ વાતનો પ્રારંભ કરતાં પહેલાં તેમનું ધ્યાન ખેંચો. ખભા પર હળવો સ્પર્શ કે તેમની સામે આવીને વાત કરી શકો.
• સ્પષ્ટ અને મોટા અવાજે બોલો: થોડું મોટા અવાજે બોલવું મદદરૂપ થઈ શકે છે. જોકે એ પણ યાદ રાખો કે બરાડા પાડવાની જરૂર નથી. જો વ્યક્તિ સાંભળી નથી શકતી તો વાક્યને રિપીટ કરો.
• સમજવા માટે ધીરજ રાખો: વાતચીત કરતી વેળા ધીરજ રાખો અને સમજો કે આ તેમના માટે પણ મુશ્કેલ છે.
તકલીફ વધુ છે? તો કાનનું મશીન પહેરો
• જો સાંભળવાની ક્ષમતા ખૂબ જ ઘટી ગઈ હોય તો ડોક્ટરની સલાહ પર કાનનું મશીન પહેરી શકો છો.
• તમારી જીવનશૈલી અને સાંભળવાની ગતિવિધિના હિસાબે જુદા-જુદા પ્રકારના હિયરિંગ એઈડ મળે છે. તમારી જરૂરત અને નિષ્ણાતની સલાહને આધારે હિયરીંગ એઇડ પસંદ કરો.
• વધારાના ફિચર્સ જેમ કે, બ્લ્યુટૂથ કનેક્ટિવિટી, નોઈઝ રિડક્શન સાથે મશીનનો આકાર, તેની બેટરી લાઈફ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને હિયરીંગ એઇડ ખરીદો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter