હાર્ટબ્રેક થવાથી શા માટે ખરેખર પીડા અનુભવાય છે?

(વાત વિજ્ઞાનની)

Sunday 16th August 2026 10:55 EDT
 
 

હાર્ટબ્રેક થવાથી શા માટે ખરેખર પીડા અનુભવાય છે?

કે.એલ. સાયગલ સાહેબે ગાયેલા એક ગીતના શબ્દો છે, ‘અબ જી કે ક્યા કરેંગે, જબ દિલ હી તૂટ ગયા’. હવે પ્રશ્ન એ થાય કે દિલ તૂટવાથી કે હાર્ટબ્રેક થવાથી આટલી પીડા ખરેખર થાય? હવે વિજ્ઞાન પાસે આનો ઉત્તર છે. સંશોધન સમજાવે છે કે હાર્ટબ્રેકની પીડા શા માટે મનોજગત પૂરતી મર્યાદિત નથી. માનવી પ્રેમમાં પડે છે ત્યારે ઓક્સિટોસિન અને ડોપામાઈન હોર્મોન્સ વહેવા સાથે લાગણીઓ તીવ્રતમ બને છે અને તે સાતમા આસમાનમાં વિહરવા લાગે છે. બીજી તરફ, આ સંબંધ તૂટી જવાથી નકારાત્મક સંવેદનાઓનો ધોધ વહે છે અને તેનાથી શારીરિક પીડા પણ અનુભવાય છે. આ નકારાત્મક સંવેદનાઓ પર કોર્ટિસોલ, એડ્રેનલિન અને નોરાએડ્રેનલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સના વધારા તેમજ સુખકારી હોર્મોન્સ સેરોટોનિન અને ઓક્સિટોસિનના ઘટાડાની અસર થાય છે. આ ‘હાર્ટબ્રેક હોર્મોન્સ’ના કારણે શારીરિક લક્ષણો પણ ઉદ્ભવે છે જેનાથી લોકો પીડા અનુભવવા તરફ દોરાય છે. સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલના સ્તરમાં વધારા સાથે હાઈ બ્લડ પ્રેશર, વજનમાં વધારો, ખીલ-ફોલ્લીઓ અને ચિંતા વધવાના લક્ષણો દેખાય છે. બાયોલોજિકલ સાયન્સ જર્નલમાં 2011ના એક અભ્યાસ અનુસાર પાર્ટનર સાથે બ્રેક અપ જેવી સોશિયલ રિજેક્શનની સ્થિતિથી મગજમાં શારીરિક પીડા સાથે સંકળાયેલા વિસ્તારો સક્રિય બને છે, જેની ન્યૂરોબાયોલોજિકલ અસર એટલી હદ સુધી પહોંચી શકે છે કે તેનાથી છાતીમાં દુઃખાવો, ગભરામણના હુમલા જેવા લક્ષણો અનુભવાય છે. સાયકોન્યૂરોએન્ડોક્રિનોલોજી જર્નલના સંશોધન અનુસાર વિધવા અને વિધુર લોકોમાં જીવનસાથીના મૃત્યુ પછીના પ્રથમ છ મહિનામાં જ મોત થવાનું જોખમ 41 ટકા વધે છે. દિલ તૂટી જવાથી ગંભીર માનસિક અને શારીરિક અસરો સર્જાય તે હકીકત હોવાં છતાં, ‘દુઃખનું ઓસડ દહાડા’ના ધોરણે માનવીય ઉત્ક્રાંતિનું લક્ષણ એવું છે કે સમય જતા માનવી પીડાને પચાવી આગળ વધી શકે છે.

•••

AI હેલ્થકેર પ્રોફેશનલ્સનું સ્થાન લઈ શકશે?

આજકાલ પેશન્ટ્સ ડોક્ટર પાસે જતા ખાસ ગભરાતા નથી કારણકે તબીબી મુલાકાત પહેલા તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી શારીરિક લક્ષણોના મેડિકલ અર્થઘટનોથી સજ્જ બની જાય છે. AI હેલ્થ વિશેનું શિક્ષણ સુધારે છે અને નિર્ણયપ્રક્રિયામાં મદદ કરે છે. AI લક્ષણોનું અર્થઘટન કરે છે, રિપોર્ટ્સનું એનાલિસીસ કરે છે, મેડિકલ કન્સેપ્ટ્સ અને ટર્મિનોલોજી સમજાવે છે અને સરળતાથી વિવિધ નિદાનો પણ કરી આપે છે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં આવી પરિસ્થિતિ સામાન્ય બનવા સાથે ડોક્ટર-પેશન્ટનો સંબંધ બદલાઈ રહ્યો છે. હવે પેશન્ટ માત્ર સાંભળતા નથી, પરંતુ ડોક્ટર સાથે વાતચીત કરે છે, પ્રશ્નો પણ પૂછે છે અને પોતાના જ આરોગ્ય સંબંધિત નિર્ણયોમાં સક્રિય ભૂમિકા ભજવવા પેશન્ટને પ્રોત્સાહિત કરે છે. આમ છતાં, ક્લિનિકલ પરીક્ષણો, સંદર્ભ અને અચોક્કસતાનું સ્થાન અનિવાર્ય જ છે. ફ્રાન્સિસ બેકને કહ્યું છે તેમ ‘નોલેજ ઈઝ પાવર’ અને આજે આ શક્તિ-જ્ઞાન સ્માર્ટફોન ધરાવતા કોઈ પણ પેશન્ટ પાસે આવી ગઈ છે. જોકે, એક બાબત ભૂલવી ન જોઈએ કે મેડિસીન કદી પણ માત્ર પ્રશ્નોનો ઉત્તર આપવા સુધી સીમિત નથી રહ્યું. તેમાં નહિ પૂછાયેલા પ્રશ્નો કે મૌનનું અર્થઘટન, લક્ષણોના મૂલ્યાંકન અને અચોક્કસતા સાથે જીવવા-રહેવાનો પણ સમાવેશ થાય છે. શારીરિક પરીક્ષણ દ્વારા મેળવાતી માહિતી, વર્ષોના અનુભવથી વિકસેલી અંતર્સ્ફુરણા અથવા પ્રત્યેક પેશન્ટના વ્યક્તિગત સંદર્ભનું મહત્ત્વનું સ્થાન કોઈ પણ અલ્ગોરિધમ લઈ શકશે નહિ. એકસરખાં લક્ષણો ધરાવતી બે વ્યક્તિ સંપૂર્ણપણે અલગ રોગથી પીડાતી હોય અને આ જ પ્રમાણે એક જ રોગ અલગ અલગ રીતે પ્રભાવ દર્શાવતો હોઈ શકે છે. આ હકીકતો છતાં, AI ને હરીફ તરીકે નિહાળવાની ભૂલ કરવી ન જોઈએ. મેડિસીનના ઈતિહાસમાં નવા ઉપકરણોનો ઉપયોગ સંકળાયેલો જ છે, જેમાં સમયાંતરે સ્ટેથેસ્કોપ, એક્સ-રે, CT અને MRI સ્કેન્સનો સમાવેશ થયો છે. આમ છતાં, હેલ્થકેર પ્રોફેશનલ્સનું સ્થાન લઈ શક્યા નથી. તેમના થકી પેશન્ટ અને તેના રોગને સારી રીતે સમજવાની ક્ષમતા વિકસી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter