હેલ્થ ટિપ્સઃ અજમો ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પેટની અનેક બીમારી પણ દૂર કરે છે

Saturday 02nd May 2020 07:58 EDT
 
 

આજે પણ મોટા ભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી તકલીફ દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેંદાની બનેલી વાનગીઓમાં તો તેનો ખાસ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી વધુ સમય લે છે. તેનાથી પેટના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે. આથી જ મેંદો જલ્દી પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન થાય એ માટે અજમાનો ઉપયોગ થાય છે. અજમો ભોજનના સ્વાદ વધારવાની સાથોસાથ જ પેટની કેટલીય બીમારીઓ ખતમ કરી દે છે.
આપણા પૂર્વજો અજમાનો ગુણો સદીઓથી જાણતા હતા. તેથી જ આપણી રસોઈમાં તેનું મહત્ત્વ રહ્યું છે. આજે પણ મોટા ભાગના ભારતીય પરિવારોમાં પેટમાં દુખે ત્યારે દવા પહેલા અજમો પીવાય છે. પેટ દર્દ અને ગેસની સમસ્યામાં અજમો ઝડપથી રાહત આપે છે. ખાલી પેટે અજમો ખાવાથી બ્રોન્કાઇટીસ અને અસ્થમા રાહત મળે છે.
ગોળની સાથે અજમો ખાવથી વધુ લાભ થાય છે. અજમામાં એન્ટિસ્પેમોડિક અને કાર્મિનેટિવ હોય છે, જે અસ્થમામાં રાહત આપે છે. જે લોકોને આર્થરાઇટિસ અને સાંધાના દર્દોની ફરિયાદ રહે છે તેમને માટે પણ અજમો ઘણો લાભકારી છે.
અજમાના તેલથી માલીસ કરવાથી લાભ થાય છે. ડાયાબિટીસના દર્દી રાત્રે ગરમ દૂધમાં એક ચમચી લીમડાનો પાઉડર અને અડધી ચમચી અજમા તથા જીરુંનો પાઉડર મેળવીને ૩૦ દિવસ સુધી પીએ તો રાહત મળે છે. અઠવાડિયામાં એક કે બે વખત સવારે નરણા કોઠે અજમાનું પાણી પીવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે. મેદસ્વિતાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. અજમાનું ચૂરણ સવારે ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter