વારંવાર બીમાર પડવાથી બચવું હોય તો એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને નિરોગી રાખે. સૂકી મેથીનું પાણી પણ શરીરના નિરામય સ્વાસ્થ્ય માટે આવું જ અકસીર છે. જો તમે રોજ સૂકી મેથીનું પાણી પીવાનું રાખો છો તો તેનાથી શરીરને ગજબના ફાયદા થાય છે. મેથીમાં ઘણાબધા પોષક તત્ત્વો હોય છે, જે શરીરના રોગને દૂર કરી શકે છે. આ માટે દરરોજ રાત્રે આઠથી દસ દાણા સૂકી મેથી પાણીમાં પલાળીને રાખી દો, અને સવારે આ પાણીને મેથીના દાણા સાથે પી જાવ. તો ચાલો આજે જાણીએ મેથીનું પાણી પીવાથી થતા ફાયદા વિશે.
• પેટની સમસ્યાઃ મેથી દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં રહેલા પોષક તત્ત્વો શરીરને ખૂબ જ ફાયદો કરે છે. ખાસ કરીને જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય તો મેથીનું પાણી પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેના માટે મેથીના દાણાને પાણીમાં સારી રીતે ઉકાળીને આ પાણી પી જવું જોઈએ.
• વજન ઘટાડવાઃ જો તમે શરીરનું વજન ઘટાડવા માંગો છો તો મેથીનું પાણી બેસ્ટ સાબિત થશે. મેથીનું પાણી શરીર માટે ડિટોક્સ વોટર જેવું કામ કરે છે. રોજ તેને પીવાથી પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી થાય છે. સાથે જ શરીરમાં જામેલી ગંદકી પણ દૂર થાય છે.
• વાળ માટેઃ મેથી વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે. જો મેથીના પાણીનું સેવન રોજ કરવામાં આવે તો વાળને પણ ફાયદો થાય છે. તેનાથી વાળ અંદરથી મજબૂત રહે છે અને ખરતા અટકે છે. એક ગ્લાસ મેથીનું પાણી રોજ પીવાથી એજિંગની પ્રોસેસ પણ ઘટી જાય છે.
• કોલેસ્ટ્રોલ ઘટાડવાઃ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને પણ મેથી નિયંત્રણમાં લાવી દે છે. જો તમને કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યા હોય તો રોજ મેથીનું પાણી પીવું જોઈએ તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં થતી સમસ્યા દૂર થાય છે.
• ત્વચાની સુંદરતાઃ ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે પણ મેથી મદદ કરે છે. મેથીનું પાણી પીવાથી ચહેરાની ચમક વધે છે અને સાથે જ ખીલ અને અન્ય ત્વચાની સમસ્યા દૂર થાય છે.