ચૈત્રી નવરાત્રી હોય, આસો નવરાત્રી હોય કે એકાદશીના ઉપવાસ અને એકટાણાં - દરેક વ્રતમાં રાજગરાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચિક્કી, હલવો તથા અન્ય વ્યંજન બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખુબ જ લાભકારી છે. રાજગરામાં અનેક પ્રકાર પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. રાજગરાના ફાયદા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
• હાડકાં મજબૂત થાય છેઃ રાજગરામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય છે. રાજગરાથી હાડકાં મજબૂત થવાની સાથે સાથે દાંત પણ વધુ મજબૂત થાય છે.
• રોગપ્રતિકારક શક્તિ વધે છેઃ રાજગરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. રાજગરામાં ભરપૂર માત્રામાં ઝીંક અને વિટામિન-એ રહેલું હોય છે, જે ઈમ્યુન સિસ્ટમ માટે ખૂબ જ લાભકારી છે.
• વજન નિયંત્રિત રાખે છેઃ રાજગરામાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું છે, જેથી રાજગરાનું સેવન કરવાથી વજન નિયંત્રિત રહે છે. ફાઇબર પાચન ક્રિયાને મજબૂત કરે છે. ફાઇબરયુક્ત ભોજન કરવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી.
• આંખ માટે ફાયદાકારકઃ ઉંમર વધવાની સાથે સાથે આંખની સમસ્યા થાય છે, જેના માટે રાજગરો ફાયદાકારક છે. રાજગરામાં વિટામિન-એ રહેલું છે, જે આંખ માટે ખૂબ જ લાભકારી છે. જો તમારી આંખની દૃષ્ટિ નબળી પડી રહી છે. તો તમારે રાજગરાનું સેવન કરવું જોઈએ.
• વાળને મજબૂત બનાવે છેઃ નિયમિતરૂપે રાજગરાનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યાથી રાહત મળે છે. રાજગરામાં લાઇસિન અને સિસ્ટિન રહેલું હોય છે, જેનાથી વાળ વધુ મજબૂત થાય તથા વાળ સ્વસ્થ રહે છે.
• કોલેસ્ટ્રોલ ઓછું થાય છેઃ રાજગરામાં ફાઈટોસ્ટ્રોલ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે તથા બ્લડ શુગર પણ નિયંત્રિત રાખે છે.


