હેલ્થ ટિપ્સઃ વિટામિનની ગોળી કેટલી જરૂરી?

Saturday 14th July 2018 09:52 EDT
 
 

રોજબરોજના પોષણમાં વિટામિનની અગત્યતા ખૂબ જ છે. વિટામિનની ઊણપના કારણે ઘણા રોગો થઈ શકે છે. જેમ કે, અત્યારે બી-૧૨, ડી વગેરેની ઊણપ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. આ વિટામિનની ઊણપને કારણે લાંબા ગાળે ખૂબ નુકસાન થઈ શકે છે. શાકાહારમાં બી-૧૨ બહુ મર્યાદિત હોય છે. એ જ પ્રમાણે બીજા કોઈ પણ વિટામિનની ઊણપ હોય ત્યારે તેને માટે વિટામિનની ગોળીઓ લેવી જરૂરી બને છે. એનો અર્થ એવો નથી કે દરેક ઉંમરે અને કોઈ પણ વ્યક્તિ વિટામિનની ગોળીઓ ચણા-મમરાની જેમ ફાકી શકે છે. વિટામિનની ગોળી ખોરાકનો પર્યાય બની શકતી નથી. જેમ કે, સંતરામાં વિટામિન ‘સી’ની સાથે સાથે બીટા-કેરોટીન, કેલ્શિયમ ઉપરાંત બીજાં પોષકતત્ત્વો પણ મળે છે એ બહુ ઓછા લોકો જાણે છે. વિટામિન કે અન્ય પોષક તત્વોની ગોળી કોના માટે જરૂરી છે?
• ગર્ભવતી સ્ત્રીઓને ૪૦૦ માઇક્રોગ્રામ ફોલિક એસિડ ખોરાકની સાથે લેવું પડે છે. • ગર્ભવતી સ્ત્રીઓએ આયર્ન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવી. • ૫૦ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ મલ્ટિ વિટામિન અથવા વિટામિન બી-૧૨ની ગોળીઓ લઈ શકે છે. • વધુ માસિકસ્રાવ થતો હોય તો આયર્નની ગોળી જરૂરી છે. • ૪૦ વર્ષ પછી એકસ્ટ્રા કેલ્શિયમ લેવું જરૂરી છે.

રોજિંદા ભોજનમાં વિટામિનનો
ઉપયોગ કેવી રીતે વધારશો?

• દિવસ દરમિયાન પાંચ જાતનાં ફ્રૂટ અને શાકભાજી ખાવ, જેથી જરૂરી વિટામિન અને મિનરલ્સ આપોઆપ મળી જશે.
• ખોરાકને ગરમ કરવાનું ટાળો. શાકભાજી તાજા જ રાંધીને ખાવ. શાકભાજીને બાફવા કરતાં સ્ટીમ કરીને કે બેક કરીને ખાવા વધુ હિતાવહ છે.
• શાકભાજીને પલાળીને રાખવાથી વિટામિનનો નાશ થાય છે.
• સંતરા-મોસંબીના જ્યૂસને બદલે તે છોલીને ખાવ. આથી વિટામિન સાથે ફાઇબર્સ પણ મળશે.
• હાંડવો-ચા, ઢોકળા-ચા વગેરે લેવાથી ખોરાકમાંનાં વિટામિન શરીર એબ્સોર્બ કરતું નથી. હંમેશા દૂધ સાથે નાસ્તો કરો. તેમાં રહેલા વિટામિન શરીર એબ્સોર્બ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter