ભારતીય પરિવારોમાં દરરોજ જમવામાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ-કઢી વગેરેમાં વપરાતી સૂકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આયુર્વેદે હળદરનો મહિમા ઘણા વખતથી જણાવ્યો છે. હળદરથી મુખ્ય શરીરને થતા લાભો વિશે જાણીએ.
• કેન્સર અટકાવેઃ સિગારટે પીવાથી થતાં ફેફસાંના કેન્સરમાં રક્ષણ આપવાનું કામ હળદર કરે છે. આ માટે જવાબદાર હળદરમાં રહેલા બીટાકેરોટીન છે. કેન્સરની અસરને કારણે જ્યારે કોષ એકબીજાની સાથે ચોંટે અને ગાંઠ થાય તે ક્રિયા (મ્યૂટેજીનીસીટી)ને અટકાવે છે.
• એઇડ્ઝમાં રાહત આપેઃ કેલિફોર્નિયામાં વૈજ્ઞાનિકોએ હળદરના એકસ્ટ્રેક્ટ ક્યુરકુમીનનો એઈડ્ઝના રોગીઓમાં પ્રયોગ કર્યો ત્યારે તેમને એઈડ્ઝના દર્દમાં ઘણી રાહત થઈ અને બીજી દવાઓની સાથે આપવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો.
• સાંધાના વા અને રૂમેટોઈડ આર્થાઇટીસઃ રોજ એક ચમચી સવારે અને સાંજે હળદરનો રસ તાજો પીવાથી વાના દર્દીઓને દુખાવામાં રાહત થઈ. આંગળા, ઢીંચણ, કાંડા, કોણી વગેરેના સાંધામાં થયેલો સોજો ઓછો થઈ ગયો.
• પેટનો ગેસ અને ઝાડાઃ જ્યારે પેટમાં દુખે ત્યારે હળદરનો પાવડર અથવા લીલી હળદર રોજ ૨૫ ગ્રામ જેટલી લેવાથી ઝાડા અને પેટમાં ગેસના કારણે થતા દુખાવામાં ફરક પડતો જોવા મળશે.
• અસ્થમા (દમ)ઃ રોજ એક ચમચી હળદરનો પાવડર અથવા બે ચમચી લીલી હળદર સવાર-સાંજ લેવાથી દમના રોગીઓમાં શ્વાસનળી સંકોચાઈ જવાની ક્રિયા ધીમ થાય છે. આને લીધે દર્દી ઊંડો શ્વાસ લઈ શકે છે. ભરાયેલો કફ નીકળી જાય છે અને બધી જ રીતે રાહત થાય છે.
• હૃદયરોગઃ હળદરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાનો ગુણ છે. પ્લેટલેટની એકબીજા સાથે ચોંટી જવાની ક્રિયા પણ ધીમી પડી જાય છે. હળદરમાં રહેલ બીટાકેરોટીનની હૃદયની કોરોનરી આર્ટરીમાં ક્લોટ (ગઠ્ઠો) થતો નથી, જેથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે.
• લિવરનો સોજોઃ હળદરનું મૂળ તત્ત્વ ક્યુરકુમીન જ્યારે તમે નિયમિત લો તો લિવરમાં સોજો નહીં થાય. લિવર અને ગોલ બ્લેડરમાંથી નીકળતા બાઈલ સોલ્ટ બીલીરૂબીન અને કોલેસ્ટ્રોલ પૂરેપૂરી રીતે નીકળશે. હળદરના ઉપયોગથી મોટી ઉંમરે પણ બાઈલ (પિત્ત) પૂરતા પ્રમાણમાં નીકળશે જેથી મોટી ઉંમરે પણ ચરબીની પાચનક્રિયા સારી થતી હોવાથી તમે ખોરાકમાં ચરબી લેશો તો વાંધો નહીં આવે. વાતાવરણમાંથી તમારા શરીરમાં ગયેલા બધા જ ટોક્સિન (ઝેરી) પદાર્થોથી લિવરનું રક્ષણ હળદરથી થશે. નિયમિત હળદરનું સેવન કરવાથી વાઈરલ હિપેટાઈટીઝ થવાની શક્યતા ઘટી જશે.
• હોજરીનો દુખાવો અને અલ્સરઃ નિયમિત હળદર લેવાથી તમારી હોજરીની અંતરત્વચાનું રક્ષણ કરનાર મ્યુસીન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે. આને લીધે હોજરીમાં ઉત્પન્ન થનાર એસિડને લીધે અલ્સર થશે નહીં અને પેટમાં દુખશે નહીં.
• ચામડીની સુંદરતાઃ હળદર મોં વાટે લેવાથી તેમજ ગુલાબજળની સાથે મિશ્રણ કરીને ચામડી ઉપર લેપ લગાડવાથી ચામડીની સુંદરતા વધે છે. ચામડીના રોગોમાં પણ રાહત આપે છે.
• કિડનીના રોગઃ શરીરમાંથી ભરાયેલ કચરાને બહાર કાઢવામાં હળદરનું નિયમિત સેવન ખૂબ મદદ કરે છે.
• એનિમિયાઃ ૧૦૦ ગ્રામ હળદરમાં ૧૯ મીલીગ્રામ જેટલું આયર્ન અને વિટામિન-એ હોય છે. હળદરના નિયમિત સેવનથી એનિમિયામાં અને આંખની જોવાની શક્તિમાં ઘણો ફાયદો થાય છે.
હળદરના પાવડરની પેસ્ટ બનાવીને થતા ઉપયોગની વાત કરીએ તો, વાગવાથી કે દાઝવાથી થતી ચામડીની દરેક પ્રકારની તકલીફો તેમજ વાના દુખાવા માટે હળદરને ગુલાબજળની સાથે મિશ્રણ કરીને પેસ્ટ બનાવીને અસરકારક ભાગ પર લગાવી દો. આનાથી ચામડીનો સોજો, છોલાવાથી થયેલી ઈજા, દાઝવાથી ઈજા અને સાંધા કે સ્નાયુના દુખાવાને હળદરથી ઘણો બધો ફાયદો થાય છે. આમ હળદર ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત લીલી હળદર દસેક ગ્રામ જેટલી અથવા પાવડર યોગ્ય માત્રામાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધવાથી તમારું આરોગ્ય સારું રહેશે. નિયમિત હળદર ખાઓ અને ખવડાવો.