સામાજિક સંપર્કમાં શું કરી શકાય અને શું નહિ?

Thursday 04th June 2020 23:44 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવાર,૧ જૂનથી લોકડાઉનમાં કેટલીક વધુ છૂટછાટ જાહેર કરી છે. બે મહિનાના કડક નિયંત્રણો પછી મિત્રો અને અન્ય પરિવારના સભ્યો સાથે સામાજિક મેળમિલાપ, બાર્બેક્યુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય બનશે.જોકે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં કેટલાક નિયમો પાળવા જ પડશે.

• બે અલગ પરિવારમાંથી કુલ છ વ્યક્તિના જૂથમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બહાર મુલાકાત કરી શકાશે. ઘરમાં ડિનર કે અન્ય પ્રવૃત્તિ કરી શકશો નહિ.

• તમે માત્ર એક જૂથ સાથે મુલાકાત કરી શકો તેમ નથી. તમે અલગ અલગ સમયે અલગ જૂથને મળી શકો છો પરંતુ, મુલાકાતના સમયમાં અંતર રાખવું આવશ્યક છે.

• જો તમારા પરિવારમાં જ છ વ્યક્તિ હોય તો બીજા પરિવારને એક સાથે મળવા ન જઈ શકો. બે પરિવારના થઈ છ વ્યક્તિના સમૂહને મુલાકાતની છૂટ અપાઈ છે.

• ઘરના ખાનગી બગીચામાં છ વ્યક્તિ ફરી શકે પરંતુ, બે મીટરનું અંતર જાળવવું આવશ્યક

• તમે એકબીજાને આલિંગન આપી નહિ શકો, ચુંબનો અને હસ્તધૂનન પણ કરી નહિ શકો.

• નાના બાળકો અલગ પરિવારના જૂથનો હિસ્સો હોય તો લપસણી, પેડલિંગ પૂલ્સ, ક્લાઈમ્બિંગ ફ્રેમ્સ કે એકબીજાની નજીક લાવે તેવી કોઈ રમત સાથે રમવી જોઈએ નહિ.

• તમે બાર્બેક્યુ કરી શકશો પરંતુ, તમારા હાથ ધોવા ઉપરાંત, એકબીજાને ખોરાક કે પ્લેટ્સ આપવામાં કાળજી રાખવી પડશે અને છ ફૂટનું અંતર રાખવું જોઈએ. જો પ્રોપર્ટીમાં પાછળ જવા માટે અન્ય માર્ગ ન હોય તો જ ઘરમાંથી પ્રવેશ કરવો જોઈએ.

• તમે ગાર્ડનમાં કેમ્પિંગ કરવા માટે રાત્રિરોકાણ કરી શકશો નહિ.

• તમે બાથરુમ્સનો ઉપયોગ કરી શકશો પરંતુ, સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. તમે જે સપાટીને અડો તેને સાફ કરી લેશો.

• તમે ઘરમાંથી ચાલીને બગીચામાં જઈ શકશો. વધુ સાવચેતી માટે બાથરુમના બારણાં ખોલવા કે બંધ કરવા પેપર ટોવેલનો તેમજ હાથ સાફ કરવા કિચન રોલનો ઉપયોગ કરવો હિતાવહ છે.

• જો વરસાદ પડતો હોય તો છત્રી નીચે ઉભા રહેવું અથવા ત્યાંથી ચાલી જવું. તમે કોઈના ઘરમાં આશરો લઈ શકશો નહિ.

• તમે કેર હોમ્સના ગાર્ડનમાં સગાંની મુલાકાત લેવા માગતા હો તો સંજોગો અને કેર હોમ મેનેજમેન્ટના નિર્ણય પર તેનો આધાર રહેશે.

• સલામતી કવચ હેઠળના લોકો આવી મુલાકાતનો હિસ્સો બની શકશે નહિ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter