સોશિયલ મીડિયાનું ભારે વળગણ ધરાવતાં બાળકો જીવનથી નાખુશ

Monday 17th April 2017 07:55 EDT
 
 

લંડનઃ શેફિલ્ડ યુનિવર્સિટીના નવીન અભ્યાસમાં જોવા મળ્યું છે કે જે બાળકો સોશિયલ મીડિયા પર વધારે સમય વીતાવે છે તેઓ તેમના જીવનથી ખુશ નથી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે બાળકો ફેસબુક, બોટ્સએપ અને સ્નેપચેટ જેવી એપ પર વધુ સમય ગાળે છે તેઓ તેમના શાળાકીય કાર્ય, તેમનો દેખાવ તેમજ પરિવાર જેવા જીવનના વિવિધ પાસાઓથી ઓછા સંતુષ્ટ હોય છે. છોકરાઓ કરતાં છોકરીઓ પોતાનાં દેખાવની બાબતમાં વધારે પ્રભાવિત જોવા મળી હતી. જ્યારે છોકરાઓ તેમની મિત્રતાના સંદર્ભે વધારે અસંતુષ્ટ જોવા મળ્યા હતા.

સંશોધક ફિલિપ પોવલે જણાવ્યું છે કે અમારા તારણો દર્શાવે છે કે સોશિયલ મીડિયાનું વળગણ ઊભરતી યુવા પેઢી માટે હાનિકારક છે અને અગાઉના અભ્યાસોનાં સંખ્યાબંધ તારણોમાં પણ આ જ વાત કહેવાઈ છે. આપણે એમ ના કહી શકીએ કે સોશિયલ મીડિયા ખરાબ છે પણ એટલું કહી શકીએ કે બાળકો તેનો જેટલો વધારે ઉપયોગ કરે તેના પ્રમાણમાં જીનના વિવિધ પાસા અને સમગ્રતયા જીવનથી અસંતુષ્ટ થતા જાય છે. અર્થશાસ્ત્રીઓની ટીમને જણાયું છે કે દિવસમાં ફક્ત એક કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી બાળકના સંપૂર્ણપણે ખુશ રહેવાની શક્યતામાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થાય છે.

બીબીસીના એક સર્વે અનુસાર ૧૦-૧૨ વયજૂથના ૭૫ ટકાથી વધુ બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે. ઉપયોગકર્તાની લઘુતમ વય ૧૩ વર્ષની હોવા છતાં ઘણી ઓછી વેબસાઈટ્સ તેનો અમલ કરે છે. ૧૬-૨૪ વયજૂથના ૯૦ ટકાથી વધુ લોકો ઓનલાઈન સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ કરે છે. મીડિયા વોચડોગ ઓફકોમના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણ અને ચાર વર્ષની વયના બાળકોના ૫૦ ટકાથી વધુ બાળકો ટેબલેટનો ઉપયોગ કરે છે જ્યારે સાતમાંથી એક બાળક પાસે પોતાની માલિકીનું ટેબલેટ હોય છે. ૮-૧૧ અને ૧૨-૧૫ વયજૂથના બાળકોમાં ઓનલાઈન રહેવાનો સમય એક દાયકામાં બમણાથી વધુ થયો છે. ટીનેજર્સ હવે ટેલિવિઝન જોવાની સરખામણીએ સપ્તાહમાં સાડા ત્રણ કલાક વધુ સમય ઓનલાઈન રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter