લગ્નના દોઢ દાયકા બાદ, આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે શનિવારે એક ચોંકાવનારા સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી છે કે હવે બન્નેના રસ્તા અલગ થઇ રહ્યા છે. હવે તેઓ પતિ-પત્નીને બદલે અલગથી જીવન જીવે છે. તેમણે વધુમાં લખ્યું છે કે, ‘અમે બંને અલગ રહેતા હોવા છતાં એક વિસ્તૃત પરિવાર તરીકે જીવન જીવીશું. અમે અમારા પુત્ર આઝાદને સમર્પિત માતાપિતા છીએ, જેનો અમે સાથે મળીને ઉછેર કરશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સહયોગ આપવાનું ચાલુ રાખીશું જેની અમે ઉંડાણપૂર્વક કાળજી લઈએ છીએ. અમારા સંબંધોમાં સતત સમર્થન અને સમજ માટે અમારા પરિવારો અને મિત્રોનો ઘણો આભાર, જેમના વિના આપણે આ પગલું ભરવામાં એટલું સુરક્ષિત અનુભવ્યું ન હોત. અમે અમારા શુભેચ્છકો પાસેથી શુભેચ્છાઓ અને આશીર્વાદ માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારી જેમ તમે આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ એક નવી યાત્રાની શરૂઆત તરીકે જોશો. આભાર અને પ્રેમ, કિરણ અને આમિર.
ઉલ્લેખનીય છે કે આમિર ખાન અને કિરણ રાવ સૌપ્રથમ વખત ‘લગાન’ ફિલ્મના સેટ પર મળ્યા હતા. કિરણ ફિલ્મ લગાનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહી હતી. બંને પ્રેમમાં પડ્યાં અને એકાદ વર્ષ લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ ૨૮ ડિસેમ્બર ૨૦૦૫નાં રોજ લગ્ન કર્યાં. ૨૦૧૧ માં, દંપતીને ત્યાં સરોગસીની મદદથી પુત્ર આઝાદનો જન્મ થયો. ૧૫ વર્ષના આ લગ્નમાં કિરણ અને આમિરે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને સાથે મળીને ઘણી વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે.
કિરણ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે, એવું માનવામાં આવે છે કે કિરણના પ્રેમમાં પડ્યા પછી તેણે રીના દત્તા સાથે તેના લગ્ન સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું. રીના દત્તા સાથેના લગ્નજીવનથી આમિર ખાનને બે બાળકો છે – આયરા ખાન અને જુનૈદ ખાન.