અક્ષય કુમારે બહુચર્ચિત યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઝીંક્યો છે. આ યૂટ્યુબરે સ્વર્ગીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે સંકળાયેલો એક વીડિયો પોસ્ટ કરવાની સાથે સાથે જ અક્ષય કુમાર પર રિયા ચક્રવર્તીને કેનેડા નાસી જવામાં મદદ કર્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સુશાંતસિંહ કેસમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના તેમના પુત્ર આદિત્ય ઠાકરેને ઢસડવાના આરોપમાં રાશિદ સિદ્દીકીની મુંબઈ પોલીસ ધરપકડ પણ કરી ચૂકી છે. યુટ્યુબર રાશિદ સિદ્દીકી બિહારનો વતની છે અને તેણે દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને લઈને બિનપાયેદાર અહેવાલો ફેલાવીને ચાર મહિનામાં ૧૫ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું મનાય છે. બનાવટી સમાચાર ફેલાવવાના આરોપમાં હવે અભિનેતા અક્ષય કુમારે તેની સામે ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જોકે રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારે તેની સામે મૂકેલા માનહાનીના આરોપને ફગાવ્યો છે, અને ઊલ્ટા ચોર કોટવાલ કો ડાંટેના ન્યાયે અક્ષય કુમારને ચીમકી આપી છે કે તે બદનક્ષીનો આ કેસ પરત ખેંચી લે નહીં તો તે વળતી કાનૂની કાર્યવાહી કરશે.