વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે. આ બધાની વચ્ચે શનિવારે આદિત્ય પૌડવાલના નિધનના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ સિંગર અને ભજનગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય કીડનીની સમસ્યાથી લડી રહ્યા હતા. શંકર મહાદેવને લખ્યું કે આ સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો, અમારા પ્રિય આદિત્ય હવે નથી રહ્યા. કેટલા ગજબના મ્યુઝિશ્યન અને ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા વ્યક્તિ હતા. અમે ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું. લવ યુ આદિત્ય, તમે યાદ આવશો... આદિત્ય ખૂબ સારા મ્યુઝિશ્યન હતા અને ભારતમાં સૌથી નાની ઉંમરના સંગીત નિર્દેશકના રૂપમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ સામેલ છે. આદિત્યે માતા અનુરાધા પૌડવાલ સાથે ભજન પણ ગાયા છે.