સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. જોકે હવે પરિવાર નથી ઇચ્છતો કે તેમની મંજૂરી વગર સુશાંતના જીવન આધારિત કોઇ ફિલ્મ કે સીરિયલ બનાવવામાં આવે.
સુશાંતના પિતા કે. કે. સિંહના વકીલ વિકાસસિંહનું કહેવું છે કે સુશાંતના પિતાની સહમતિ વિના કોઇ પણ ફિલ્મ, સીરિયલ અથવા પુસ્તક લખી શકાશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ માટે નિર્માતા-લેખકે તેના પિતાની સહમતી લેવી પડશે. જો સુશાંતના પિતાની સહમતિ વગર સીરિયલ કે ફિલ્મ બનશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના જીવન પર આધારિત ફિલ્મના ટાઇટલના રજિસ્ટ્રેશન માટે ઘણી એપ્લિકેશનો ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિયેશન પાસે આવી છે. જેમાં ‘સુશાંત’, ‘સુશાંત સિંહ રાજપૂત બાયોગ્રાફી’ જેવા ટાઇટલનો સમાવેશ થાય છે. સુશાંતના જીવન આધારિત બે ફિલ્મની તો જાહેરાત પણ થઇ ગઇ છે.