આ વર્ષમાં રણબીર-આલિયાના લગ્નની શરણાઇ વાગશે?!

Wednesday 18th August 2021 08:01 EDT
 
 

યુવા દિલોની ધડકન રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના ફેન્સ આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ કપલ અનેકવાર જાહેર સ્થળોએ સાથે દેખાયા છે અને બંને સુપરસ્ટારના ફેન્સ આ બંને જલ્દી લગ્ન કરી લે તેવી ઈચ્છા ઘણીવાર સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે આ પ્રેમીપંખીડા તો મગનું નામ મરી પાડતા નથી, પણ હવે અભિનેત્રી લારા દત્તાએ આ કપલના લગ્ન અંગે અગત્યની વાત કરી છે. તાજેતરમાં જાણીતી અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં લારાએ એક સવાલના જવાબમાં કહ્યું કે તે હવે જૂની જનરેશનની થઈ ગઈ છે અને એટલે જ તેને નથી ખ્યાલ કે કયા બોલિવૂડ કપલ ડેટ કરી રહ્યા છે. આ પછી રણબીર અને આલિયાનું ઉદાહરણ આપવામાં આવ્યું તો લારા દત્તાએ કહ્યું કે મને લાગે છે કે રણબીર અને આલિયા આ વર્ષે લગ્ન કરી શકે છે. લારાના આ નિવેદન પછી રણબીર અને આલિયાના ફેન્સ ખૂબ એક્સાઈટેડ છે.
રણબીરની પર્સનલ લાઈફ ઘણી જ વિવાદિત રહી છે. એક્ટિંગમાં પોતાની અલગ જ છાપ છોડનાર આ અભિનેતાના અફેર લિસ્ટમાં અનેક અભિનેત્રીઓના નામ છે. રણબીર દીપિકા પાદુકોણથી લઈને નરગીસ ફકરી, માહિરા ખાન, સોનમ કપૂર , અવંતિકા મલિક જેવી અનેક સેલેબ્રિટીને ડેટ કરી ચૂક્યો છે અને અત્યારે આલિયા સાથે રિલેશનશીપમાં છે. આ કપલ એકબીજા માટે ઘણું સિરિયસ હોય તેવું લાગી રહ્યું છે. આલિયા અને રણબીર વર્ષ ૨૦૧૭થી રિલેશનશિપમાં છે. અત્યાર સુધીમાં તો તેમના લગ્ન થઈ ચૂક્યા હોત પરંતુ કોવિડને કારણે તેમના લગ્ન ન થઈ શક્યા. બંને અવારનવાર એકબીજાના પરિવાર સાથે જોવા મળે છે અને તેઓ આ વર્ષે જ લગ્ન કરી લેશે તેવી આશા સેવાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter