જાણીતા કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરને સફળ હાર્ટ સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સુનીલ પર મુંબઇની એશિયન હોસ્પિટલમાં ચાર બાયપાસ સર્જરી અને હાર્ટ બ્લોકેજની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે સુનીલ ગ્રોવરે હાર્ટ શેઇપ દર્શાવીને તેના ખબરઅંતર પૂછનાર તમામ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સુનીલે જો આ સર્જરી ના કરાવી હોત તો તેના પર હાર્ટ એટેકનું જોખમ હતું. આ ટ્રીટમેન્ટ દરમિયાન જ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સુનીલની હાલત થોડીક કફોડી બની હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પૂણેમાં વેબસિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પૂણેમાં શૂટિંગ કર્યું હતું. તેણે પ્રોફેશનલ એટિટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી. મુંબઈની એશિયન હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, સુનીલ ગ્રોવર હવે સલામત છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરીના ન્યૂઝ વાઇરલ થતાં જ એક્ટ્રેસ સિમી ગરેવાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આઘાત લાગ્યો કે સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે. જે વ્યક્તિ આપણને હસાવે છે અને આપણું મન ખુશીઓથી ભરી દે છે તે આજે આ સ્થિતિમાં છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. પ્રાર્થના કરું છું કે તે જલ્દીથી ઠીક થઈ જાય. તેની ટેલન્ટ અદ્દભૂત છે અને હું હંમેશાં તેની મોટી પ્રશંસક રહી છું.’