કોરોનાની લપેટમાં આવી ગયેલા બચ્ચન પરિવાર માટે હવે રાહતનો સમય આવ્યો છે. પહેલાં પૂત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા બાદ ઘરના મોભી અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આ ત્રણેયનો કોરોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે પુત્ર અભિષેક હજુ હોસ્પિટલમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે.
પુત્રી આરાધ્યા સાથે સુખરૂપ ઘરે પહોંચ્યા પછી ઐશ્વર્યાએ ચાહકોનો આભાર માનતા સોશિયલ મીડિયા પર હાથ જોડેલી એક તસવીર પોસ્ટ કરીને લખ્યું હતુંઃ ‘મારી ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, અભિષેક અને મારા માટે કરેલી દુવાઓ અને પ્રાર્થના માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર, અમે સદાય તમારા ઋણી રહેશું. ભગવાન તમારા બધાનું ભલું કરે અને હું પણ ઇશ્વરને પ્રાર્થના કરું છું કે તમે સહુ સલામત અને સુરક્ષિત રહો. હું તમને બધાને ખુબ પ્રેમ કરું છું.’ આ પૂર્વે અમિતાભે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આરાધ્યા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી ત્યારે તેને જોઇને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. આ સમયે લાડલી પૌત્રીએ ધીરજ બંધાવતા કહ્યું હતું કે, દાદાજી તમે રડો નહીં... તમેય જલદી ઘેર આવી જશો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ અમિતાભ બચ્ચનનો પણ રિપોર્ટ નેગેટિવ આવી જતાં રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.