ડ્રગ્સ કેસમાં સપડાયેલા આર્યન ખાનની પૂછપરછ દરમિયાન અનન્યા પાંડેનું નામ પણ બહાર આવ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ આર્યને દાવો કર્યો હતો કે, અનન્યા પાંડેએ તેને ડ્રગ્સ આપ્યું હતું. આર્યન અને અનન્યા વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ બાબતે અને આર્યનના દાવા અંગે અનન્યાએ એનસીબી સમક્ષ જવાબ પણ રજૂ કર્યો છે. જેમાં અનન્યાએ જણાવ્યું છે કે, તેણે આર્યનને ડ્રગ્સ આપ્યું હોવાનો દાવો ખોટો છે. પોતે ક્યારેય કોઈને ડ્રગ્સ આપ્યું નથી. આર્યને એનસીબી સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, અનન્યાની બહેન 15-16 વર્ષની હતી ત્યારે અનન્યા તેને ડ્રગ્સ લેતા જોઈ ગઈ હતી. અનન્યા આ જોઈ જતાં તેણે આ ડ્રગ્સ લઇને આર્યનને આપ્યું હતું અને તેનો નાશ કરવા કહ્યું હતું.
જોકે અનન્યાનું કહેવું છે કે, આર્યન ખાન જૂઠ્ઠું બોલી રહ્યો છે અને તે આવું કેમ કરી રહ્યો છે તેની મને ખબર નથી. અનન્યાએ વધુમાં જણાવ્યું હતું કે, આર્યન અને તેનો પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. 2019 સુધી અમે નજીક હતા, પરંતુ ત્યાર બાદ બંને પોત-પોતાના કામમાં બિઝી થયા હતા અને ક્યારેક જ મળતા હતા.