ઋચા ચઢ્ઢાએ બહુ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી લોકપ્રિયતા મેળવી છે. અભિનેત્રીએ દરેક ફિલ્મના પાત્રને યોગ્ય રીતે ન્યાય આપીને દર્શકોને ભાવવિભોર કર્યા છે. હવે તેને અભિનય ક્ષમતાની કદરરૂપે ભારતરત્ન ડો. આંબેડકર એવોર્ડથી નવાજવામાં આવી છે. ઋચાને આ સન્માન ભારતીય સિનેમામાં તેના પ્રશંસનીય યોગદાન માટે આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીએ તાજેતરમાં રાજ ભવનમાં યોજાયેલા સમારોહમાં આ પુરસ્કાર એનાયત કર્યો હતો. કોરોના મહામારીના કારણે એવોર્ડ સેરમનીમાં ફક્ત ૨૫ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સન્માનતી ગદગદિત ઋચાએ બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે, તે કોઇ પણ આધાર વિના આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી અને આવ્યા પછી પણ તેનો કોઇ ગોડફાધર નહોતો. તેની અભિનય સજ્જતાના આ સન્માનથી તે ગૌરવની લાગણી અનુભવે છે.