સતત વિવાદોમાં રહેતી કંગના રનૌતે તાજેતરમાં એક નવો વિવાદ છેડ્યો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘના પૂર્વ નેતા ઉમર ખાલિદના બહાને કંગનાએ બોલિવૂડ પર પ્રહારો કરતાં કહ્યું છે કે, એક્ટર-એક્ટ્રેસ આતંકીઓથી ઓછા નથી. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટર-એક્ટ્રેસની તુલના આતંકવાદી સાથે કરી છે. હાલમાં જ દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં દાવો છે કે તેણે CAA અને NRCના વિરોધમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું.
ભારત જાગે અને જુએ
કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વધુ એક ભાંડો ફૂટી ગયો. JNUના વિદ્યાર્થીઓ તથા શાહીનબાગમાં થયેલા વિરોધ પ્રદર્શનનું સમર્થન કરનાર લોકોએ તોફાનો ભડકાવવામાં મદદ કરી છે. આ કથિત એક્ટ્રેસ, એક્ટ્રેસિસ આતંકીઓથી ઓછા નથી. ભારત જાગે અને જુએ.
કંગનાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે, હવે આ વાત સાબિત થઈ ગઈ કે JNUના વિદ્યાર્થીઓએ ખોટી રીતે માહિતી ફેલાવી હતી અને CAA અંગે ખોટું બોલ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમણે નફરત, ખોટું તથા આતંકવાદ ફેલાવવામાં હિસ્સો લીધો. તો શું આ ફિલ્મી જોકર આ દેશની માફી માગશે? જોકે, દિલ્હીના તોફાનોમાં જાન ગુમાવનારાઓની ભરપાઈ કોણ કરશે?'
અનેક હસ્તીઓનો સપોર્ટ હતો
JNUમાં CAAના વિરોધમાં થયેલા ધરણાને અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, અનુભવ સિંહા, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, હંસલ મહેતા સહિત અનેક સેલેબ્સે સમર્થન આપ્યું હતું.