એક્ટર્સ કોઇ પ્રત્યે વફાદાર રહેતા નથીઃ ડેવિડ ધવન

Sunday 07th June 2026 09:37 EDT
 
 

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દીકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે વફાદાર રહેતા નથી. ડેવિડ ધવને 74 વર્ષે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેતા, પોતાની કેરિયર અને સ્ટાર્સ સાથેના કામના અનુભવો વિશે ખુલીને વાતચીત કરી હતી.
શનિવારે મુંબઈમાં ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વાતચીત કરતાં ધવને એક્ટર્સ વિશે સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું કે તેઓ કોઈના પ્રત્યે ‘વફાદાર’ હોતા નથી. તેમણે કહ્યું, ‘મેં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રાજ બબ્બર, રિશી કપૂર, સંજય દત્ત, ગોવિંદા અને સલમાન ખાન સાથે કામ કર્યું છે. સામાન્ય રીતે ફિલ્મ એક્ટર્સથી ચાલે છે. જો ડિરેક્ટર તરીકે તમારી ફિલ્મ ન ચાલે તો એક્ટર આગળની ફિલ્મ તરફ વધી જાય છે. આ એક્ટર્સની જાત એવી છે કે તેઓ કોઈના નથી, તેઓ કોઈ પ્રત્યે વફાદારી રાખતા નથી.’
તેમની સૌથી સફળ ફિલ્મો ગોવિંદા સાથે રહી છે. તેમણે 17 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું - બધી કોમેડી અને લગભગ બધી હિટ. ડેવિડ ધવને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં માત્ર ગોવિંદા જ એવો અભિનેતા હતો જેણે તેમની ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા જોયા વગર તેમની સાથે કામ કર્યું હતું. ‘એક એવો એક્ટર છે જેણે ક્યારેય નથી જોયું કે મારી ફિલ્મ ચાલી કે નહીં, અને તે છે ગોવિંદા. મને યાદ છે જ્યારે મારી એક ફિલ્મ ન ચાલી ત્યારે હું દુઃખી હતો અને તેણે કહ્યું, ‘સ્ક્રિપ્ટ લખો, દુઃખી ન થાઓ.’ ત્યાર પછી મેં શોલા ઔર શબમન લખી.’ બંનેએ પ્રથમ વખત 1989ની એક્શન-થ્રિલર ફિલ્મ ‘તાકતવર’માં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ 90ના દાયકામાં તેમની હિટ ફિલ્મોની લાંબી શ્રેણી આવી હતી.
હવે ડેવિડ ધવનની છેલ્લી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ રિલીઝ થઇ છે, જેમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter