ગોવિંદા સાથેની સુપરહીટ ફિલ્મ ‘આંખે’થી રાતોરાત સ્ટાર બની ગયેલી એકટ્રેસ રાગેશ્વરી આજકાલ ફરી ચર્ચામાં છે. જોકે કોઇ ફિલ્મના કારણે નહીં, તેની બીમારીના કારણે. કેટલીય હિટ ફિલ્મો અને સુપરહિટ મ્યુઝિક આલબમ આપનારી રાગેશ્વરીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે એકલવાયું ના લાગે અને ડિપ્રેશનનો શિકાર ના બનાય એ માટે શું કરવું તેની ટિપ્સ આપી હતી. તેના આધારે લોકોને લાંબા સમયથી ફિલ્મીપરદાથી દૂર રાગેશ્વરીની સ્ટોરી ખબર પડી છે. ઉલ્લેખનીય છે કે રાગેશ્વરી 2014માં લંડનના હ્યુમન રાઈટસ લોયર સુધાંશુ સ્વરૂપ કેસીને પરણી છે અને પોતાની દીકરી તથા પતિ સાથે લંડનમાં જ વસવાટ કરે છે.
બોલિવૂડમાં જોરદાર સફળતા પછી રાગેશ્વરી પેરેલિસિસનો ભોગ બની હતી અને આ બીમારીના કારણે તેના ચહેરાના સ્નાયુ પણ ખેંચાઇ ગયા હતા. રાગેશ્વરી લગભગ ચાર વર્ષ પથારીમાં જ રહી હતી. અને કુલ 10 વર્ષ સુધી પેરેલિસિસ સામે લડ્યા પછી ફિઝિયોથેરાપી અને ઈલેક્ટ્રિક સ્ટિમ્યુલેશનની મદદથી તે ફરી સાજી થઈ છે. તેણે હવે એકલતાથી પીડાતા અને ડિપ્રેશનનો ભોગ બનવાનું જોખમ ધરાવતા લોકોનો જુસ્સો વધારતી પોસ્ટ મૂકી છે.